આસામની રૅલીમાં રાહુલ ગાંધીની સ્પષ્ટ વાત ક્યારેય સીએએ લાગુ નહીં થવા દઈએ
‘નો સીએએ’ના ખેસ સાથે આસામની રૅલીમાં રાહુલ ગાંધી
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બીજેપી અને આરએસએસ આસામના ભાગલા પાડવા ઉત્સુક હોવાનો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે રાજ્યમાં કૉન્ગ્રેસ સત્તા પર આવશે તો આસામ સમજૂતીના દરેક સિદ્ધાંતનું રક્ષણ કરીશું અને નાગરિકતા કાયદા (સીએએ)નો અમલ નહીં કરે. આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં અપેક્ષિત ચૂંટણી પૂર્વે શિવસાગર ખાતે જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે આસામને પોતાના મુખ્ય પ્રધાનની જરૂર છે, દિલ્હી અને નાગપુરથી મોકલાતા આદેશોને અનુસરતા મુખ્ય પ્રધાનની જરૂર નથી.
આસામનો પરંપરાગત પહેરવેશ ઉપરાંત ‘નો સીએએ’ લખેલો ખેસ પહેરીને સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘ગેરકાયદે હિજરત કરીને આવતા લોકોની સમસ્યા આસામની છે અને એ સમસ્યાનો ઉકેલ સ્થાનિક લોકો લાવશે એવી મને શ્રદ્ધા છે. બીજેપી અને આરએસએસ આસામ સમજૂતીને મુદ્દે સ્થાનિક લોકોને વિભાજિત કરવા ઉત્સુક છે. જો આસામમાં ભાગલા પડશે તો એની અસર નરેન્દ્ર મોદી કે અમિત શાહને થવાની નથી. આસામની અને દેશના અન્ય ભાગોની જનતાને અસર થશે.’