જુદાં-જુદાં રાજ્યોના આરોગ્યપ્રધાનોએ ભારતમાં કોરોનાથી મૃત્યુ માટેના ડબ્લ્યુએચઓના અંદાજ સામે સખત વાંધો ઉઠાવ્યો
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ ભારતમાં કોરોનાના કારણે ૪૭ લાખ લોકોનાં મૃત્યુનો અંદાજ રજૂ કર્યાનો વિવાદ યથાવત્ છે. હવે સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેરની ૧૪મી પરિષદમાં ભાગ લેનારા જુદાં-જુદાં રાજ્યોના આરોગ્યપ્રધાનોએ આ અંદાજ બદલ ડબ્લ્યુએચઓની ટીકા કરી હતી.
આ પરિષદમાં ભારતમાં કોરોનાથી મૃત્યુ માટેના ડબ્લ્યુએચઓના અંદાજ સામે સખત વાંધો ઉઠાવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેરની ત્રણ દિવસની પરિષદની ગુજરાતના કેવડિયામાં ગુરુવારથી શરૂઆત થઈ હતી.
આ અંદાજ પર આવવા માટે ડબ્લ્યુએચઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી મૉડલિંગ મૅથડોલૉજી પાછળ કોઈ તર્ક નથી. અમે ભારતની નારાજગી ડબ્લ્યુએચઓ સમક્ષ વ્યક્ત કરવા માટે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાને વિનંતી કરી છે.
- કે. સુધાકર, કર્ણાટકના આરોગ્યપ્રધાન
ભારતની પાસે મજબૂત ડેટા કલેક્શન સિસ્ટમ છે અને એની ઑથેન્ટિસિટીના મામલે શંકા કરવાને કોઈ કારણ નથી. ડબ્લ્યુએચઓએ અપનાવેલી મૉડલિંગ મૅથડોલૉજી વૈજ્ઞાનિક નથી.
- વિજય સિંગલા, પંજાબના આરોગ્યપ્રધાન
ડબ્લ્યુએચઓના આંકડા ખામીયુક્ત છે. આ પરિષદમાં તમામ આરોગ્યપ્રધાનોએ એના રિપોર્ટને ફગાવી દીધો છે.
- વિશ્વાસ સારંગ, મધ્ય પ્રદેશના મેડિકલ એજ્યુકેશન પ્રધાન