પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને ટક્કર આપીને બીજેપીના કમળ સામે ફરી એકવાર કાંટો બનીને મોટી બહુમતીથી જીતનાર મમતા બૅનરજીએ ગઈ કાલે મુખ્ય પ્રધાનપદ માટેની સતત ત્રીજી મુદત માટેના શપથ લીધા હતા.
મમતા બૅનરજી
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને ટક્કર આપીને બીજેપીના કમળ સામે ફરી એકવાર કાંટો બનીને મોટી બહુમતીથી જીતનાર મમતા બૅનરજીએ ગઈ કાલે મુખ્ય પ્રધાનપદ માટેની સતત ત્રીજી મુદત માટેના શપથ લીધા હતા. તેમની આ શપથવિધિ રાજભવનના ‘થ્રોન રૂમ’માં સવારે યોજાઈ હતી.
મમતાએ શપથ લીધા પછી કહ્યું હતું કે ‘રાજ્યમાં કોવિડને લગતી જે પરિસ્થિતિ છે એના પર કાબૂ મેળવવાનું તેમ જ મત-ગણતરી પછીની હિંસાના બનાવોમાં તપાસ કરવાનું તથા કાયદો-વ્યવસ્થાની એકંદર સ્થિતિની સમીક્ષા કરવાનું મારા માટે અત્યારે અગ્રક્રમે છે.’
ADVERTISEMENT
મમતા કાલીઘાટ ખાતેના નિવાસસ્થાનેથી નીકળ્યાં અને રાજભવન પહોંચ્યાં ત્યાં સુધીમાં રસ્તામાં તેમને વધામણાં આપવા ભાગ્યે જ કોઈ હતું, કારણકે ખુદ મમતાએ જ જનતાને કોવિડની મહામારીની વર્તમાન સ્થિતિમાં ઘરમાં જ રહેવા કહ્યું હતું.
બીજેપી દ્વારા આ સમારોહના કરાયેલા બહિષ્કાર વચ્ચે આ ચૂંટણીમાં જીતનાર બીજેપીના વિધાનસભ્યોએ શહેરમાં પક્ષ-પ્રમુખ જે. પી. નડ્ડાની હાજરીમાં શાસક પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)ને ઠગ પાર્ટી ગણાવીને એના ‘નફરતના રાજકારણ’ને હરાવવાના શપથ લીધા હતા.
બંગાળમાં લોકલ ટ્રેન છેક હવે બંધ કરાઈ
રાજ્યમાં વકરી રહેલી મહામારીને ડામવાના પ્રયાસરૂપે પશ્ચિમ બંગાળ સરકારે તમામ લોકલ ટ્રેનો બંધ કરવાની જાહેરાત કરી છે અને અન્ય રાજ્યોમાંથી ટ્રેન કે ફ્લાઇટ દ્વારા આવતા પૅસેન્જરો માટે ૭ મેની મધરાતથી કોરોના નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત બનાવ્યો છે. રાજ્યમાં ત્રીજી વખત સત્તાની ધૂરા સંભાળ્યા બાદ મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે ‘આવતી કાલથી આગામી નોટિસ સુધી તમામ લોકલ ટ્રેનો બંધ કરવામાં આવશે અને માત્ર ૫૦ ટકા રાજ્ય પરિવહનની ગતિવિધિ રહેશે. છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યમાં બહારથી સંખ્યાબંધ લોકો આવ્યા છે અને હવે આપણે એના પર નિયંત્રણ મૂકવું પડશે.’ આ ઉપરાંત તેમણે આરોગ્ય, ફાયર સર્વિસ, ઇલેક્ટ્રિસિટી અને ટેલિકૉમને મુક્તિ આપી હતી અને શૉપિંગ મૉલ, સિનેમા હૉલ, જિમ, સ્વિમિંગ-પૂલ, બાર, રેસ્ટોરન્ટ્સ તથા હોટેલ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો હતો.
મોદીએ શુભકામના આપી : દીદીએ મફત રસી માગી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બૅનરજીને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનપદે સતત ત્રીજી મુદત માટે ગઈ કાલે સવારે શપથ લીધા એ બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યાં હતાં. જોકે સાંજે મળેલા અહેવાલ મુજબ મમતાએ મોદીને પત્ર મોકલ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે ઘણા વખતથી મારી ડિમાન્ડ રહી છે કે અમારા રાજ્યના લોકો માટે મફતમાં કોવિડની રસી પૂરી પાડો. એ ઉપરાંત અમને આવશ્યક દવાનો પૂરતો પુરવઠો મળી રહે તેમ જ મેડિકલ ઑક્સિજનનું વિતરણ પણ અવિરતપણે ચાલુ રહે એનું પણ ધ્યાન રાખજો.