વૈશાલીના એસપી મનીષ કુમારે કહ્યું હતું કે અકસ્માતમાં સાત બાળકો સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં
અકસ્માત માટે જવાબદાર ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર કાઢતા પોલીસ કર્મચારી
બિહારના વૈશાલી જિલ્લામાં રવિવારે રાતે ધાર્મિક સરઘસમાં ટ્રક ઘૂસી જતાં થયેલા અકસ્માતમાં સાત બાળકો સહિત આઠ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતુાં. ટ્રકના ડ્રાઇવરને આ દુર્ઘટનાગ્રસ્ત વાહનમાંથી બચાવી લેવાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવતાં વરિષ્ઠ પોલીસ અધિકારીએ ગઈ કાલે ઉમેર્યું હતું કે ટ્રક ડ્રાઇવરે મન્હાર-હાજીપુર હાઇવે પર વેગથી ધસી જતાં વાહન પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત ડ્રાઇવરને પટના મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તથા તેની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડ્રાઇવરની સ્થિતિ સ્થિર છે.
રવિવારની રાતે હાજીપુરમાં અકસ્માત બાદ પહોંચેલા સ્થાનિક વિધાનસભ્ય મુકેશ રોશને જણાવ્યાનુસાર અકસ્માતમાં ૧૨ જણ માર્યા ગયા હતા. જોકે પોલીસે સત્તાવાર રીતે મરણના આંકડા જાહેર કર્યા નથી. વૈશાલીના એસપી મનીષ કુમારે કહ્યું હતું કે અકસ્માતમાં સાત બાળકો સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ગંભીર રીતે જખમી થયેલા અન્ય સાત જણને નાલંદા મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ તથા પટના મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.