તાજતેરમાં જ ધાર્મિક પર્યટનને વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલી રામાયણ સર્કિટ ટ્રેનને લઈ હવે વિવાદ શરૂ થયો છે.
પ્રતીકાત્મક તસવીર
તાજતેરમાં જ ધાર્મિક પર્યટનને વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલી રામાયણ સર્કિટ ટ્રેન(Ramayana Express)ને લઈ હવે વિવાદ શરૂ થયો છે. આ વિવાદ સંતોની વેશભુષાને લઈ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયેલા વીડિયોમાં ટ્રેનની અંદર કામ કરનારા વેટર્સ સંતોના કપડામાં જોવા મળે છે. જેને લઈ ઉજ્જેનમાં રહેતા સંતોએ વાંધો ઉઠાવ્યો છે. સંતોએ રેલ પ્રધાનને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ સંતોએ 12 ડિસેમ્બરે શરૂ થનાર આગામી ટ્રેનને રોકવાની પણ વાત કરી છે.
અયોધ્યા ચિત્રકુટ સહિત ભગવાન રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી ભારતીય રેલવેએ IRCTCના માધ્યમથી રામાયણ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. ધાર્મિક યાત્રા સાથે જોડાયેલી આ ટ્રેનમાં શ્રદ્ધાળુઓને ભોજન ટ્રેનની અંદર જ સર્વ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં કેટલાક લોકો સાધુની વેશભુષામાં જોવા મળી રહ્યાં છે, જે ભોજન પીરસી રહ્યાં છે. જેને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો રામાયણ સર્કિટ ટ્રેનનો છે અને આ તમામ વેઈટર છે. જે આ લુકમાં યાત્રીઓને ભોજન પીરસી રહ્યાં છે. સંતોએ આ વીડિયોમાં જોવા મળી રહેલા વેઈટરના કપડા પર સવાલ ઉભો કર્યો છે.
ADVERTISEMENT
ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહાસચિવ અવધેશ પુરીએ વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે વેટર્સને સંતોના વેશ પહેરાવવામાં આવ્યા છે, જે સાધુ સમાજનું અપમાન છે. ટૂંક સમયમાં તેનો પોશાક બદલવો જોઈએ અન્યથા સંત સમાજ 12મી ડિસેમ્બરે ઉપડતી ટ્રેનનો વિરોધ કરશે અને હજારો હિન્દુઓ સાથે ટ્રેનની સામે પ્રદર્શન કરશે. અવધેશ પુરીએ કહ્યું કે વીડિયો સામે આવ્યા બાદ મેં રેલવે મંત્રીને પત્ર લખ્યો છે.