ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોનું સમર્થન મેળવવાની આ એક કોશિશ છે.
ખેડૂતોનું સમર્થન મેળવવાની કોશિશ
વારાણસીમાં ગઈ કાલે બીજેપી કિસાન મોરચા દ્વારા ટ્રૅક્ટર-રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોનું સમર્થન મેળવવાની આ એક કોશિશ છે.
ત્રિપુરામાં બીજેપીએ મ્યુનિસિપાિલટીની ચૂંટણીમાં જીત મેળવી
ADVERTISEMENT
અગરતાલા : (પી.ટી.આઇ.) ત્રિપુરાની સ્થાનિક ચૂંટણીમાં શાસક બીજેપીએ ગઈ કાલે ૫૧ સભ્યોની બનેલી અગરતાલા મ્યુનિસિપલ કૉર્પોરેશન (એએમસી)ની તમામ સીટ પર જીત મેળવી તેમજ અન્ય સ્થાનિક સંસ્થાઓ પર પણ જીત મેળવી હતી. ભગવા પાર્ટીએ ૧૫ સભ્યોની ખોવાઈ મ્યુનિસિપલ કાઉન્સિલ, ૧૭ સભ્યોની બેલોનિયા મ્યુનિસિપલ કાઉન્સિલ, ૧૫ સભ્યોની કુમારઘાટ મ્યુનિસિપલ કાઉન્સિલ અને ૯ સભ્યોની સબરૂમ નગર પંચાયતના તમામ વૉર્ડમાં જીત મેળવી હતી.
બંગાળમાં ટ્રક અને મિની ટ્રકની ટક્કરમાં ૧૮ વ્યક્તિનાં મોત
પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘હંસખાલીમાં ૩૫ કરતાં વધુ વ્યક્તિને લઈ જઈ રહેલી એક મિની ટ્રક સવારે લગભગ ત્રણ વાગ્યે સ્ટેટ હાઇવે પર કિનારે ઊભેલી પથ્થર ભરેલી ટ્રક સાથે ટકરાતાં ૧૨ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામનારાઓને અંજલિ અર્પી હતી.
નૅશનલ પીપલ્સ પાર્ટીએ સીએએ પાછો ખેંચવાની માગણી કરી
સંસદમાં ગઈ કાલે નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સના ફ્લોર લીડર્સની મીટિંગ યોજાઈ હતી, જેમાં ગઠબંધન ભાગીદાર નૅશનલ પીપલ્સ પાર્ટીએ કેન્દ્ર પાસે સીટીઝનશીપ (અમેન્ડમેન્ટ) ઍક્ટ, ૨૦૧૯ને રદ કરવાની માગણી કરી હતી. નૅશનલ પીપલ્સ પાર્ટીના સંસદ સભ્ય અગાથા સંગમાએ મીડિયાને જણાવ્યું હતું કે સંસદના શિયાળુ સત્ર પહેલાં યોજાયેલી એનડીએ પાર્ટીના ફ્લોર લીડર્સની મીટિંગ મેં કેન્દ્ર સમક્ષ લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને સીટીઝનશીપ (અમેન્ડમેન્ટ) ઍક્ટ, ૨૦૧૯ને રદ કરવાની માગણી કરી હતી. એઆઈએડીએમકેએ બીજેપીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને આ કાયદો પસાર કરવામાં પક્ષને ટેકો આપવાની ખાતરી આપી હતી.
મથુરામાં આવેલી વિવાદિત શાહી ઈદગાહમાં કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવાના મામલે માહોલ ગરમાયો
અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ મથુરાની વિવાદિત શાહી ઈદગાહમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવાની જાહેરાત કરતાં અહીં તણાવજનક સ્થિતિ સર્જાઈ છે. પોલીસે કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ છ ડિસેમ્બરે શાહી મસ્જિદ ઈદગાહમાં ભગવાન કૃષ્ણના જળાભિષેક અને પૂજા કરવાની જાહેરાત કરી છે ત્યારે એને ધ્યાનમાં રાખીને પોલીસે છ ડિસેમ્બર સુધીમાં કોઈ પણ કાર્યક્રમમાં સામેલ ન થવા માટે લોકોને અપીલ કરી છે. હિન્દુઓ આ જગ્યાને વર્ષોથી કૃષ્ણ જન્મ સ્થળ જ માને છે.
મથુરાના જિલ્લાધિકારી નવનીત સિંહ ચહલ અને એસએસપી ડૉ. ગૌરવ ગ્રોવરે શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષાવ્યવસ્થાની ચકાસણી કરી હતી. પોલીસે ચેતવણી આપી છે કે અફવા ફેલાવનારાઓ અને શાંતિવ્યવસ્થાનો ભંગ કરનારાની વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે. આ ઈદગાહમાં પૂજાની જાહેરાત એવા સમયે થઈ છે કે જ્યારે લોકલ કોર્ટમાં ૧૭મી સદીની મસ્જિદને હટાવવાની માગ કરતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. મથુરામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને એના માટે આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ ચૂસ્ત કરવામાં આવી છે.
દેશમાં ૩૦ ટકા મહિલાઓ પતિના હાથે પત્નીને મારને યોગ્ય માને છે : સર્વે
દેશમાં ઘરેલુ હિંસા કેટલી સામાન્ય બની ગઈ છે એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે મોટી સંખ્યામાં મહિલાઓ એને સહજ અને સ્વાભાવિક માને છે. નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેનાં લેટેસ્ટ તારણોમાં બહાર આવ્યું છે કે ૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછી ૩૦ ટકા મહિલાઓ ચોક્કસ સંજોગોમાં પતિ દ્વારા પત્નીને મારવામાં આવે એ યોગ્ય હોવાનું માને છે.
નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેના પાંચમા રાઉન્ડના ડેટા પરથી ખ્યાલ આવે છે કે ત્રણ રાજ્યોમાં ૭૫ ટકાથી વધુ મહિલાઓએ પુરુષો તેમની પત્નીને મારે એને યોગ્ય ગણાવ્યું છે. આ રાજ્યોમાં
તેલંગણા (૮૪ ટકા), આંધ્ર પ્રદેશ (૮૪ ટકા) અને કર્ણાટક (૭૭ ટકા)નો સમાવેશ થાય છે.
અન્ય રાજ્યોમાં આવી વિચારસરણી ધરાવતી મહિલાઓની ટકાવારી જોઈએ તો મણીપુરમાં ૬૬ ટકા, કેરલામાં ૫૨ ટકા, જમ્મુ-કાશ્મીરમાં ૪૯ ટકા, મહારાષ્ટ્રમાં ૪૪ ટકા જ્યારે પશ્ચિમ બંગાળમાં ૪૨ ટકા છે.
આ સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે ‘તમારી દૃષ્ટિએ કોઈ પતિ તેની વાઇફને મારે એ યોગ્ય છે?’ જેના જવાબમાં ૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૩૦ ટકાથી વધારે મહિલાઓએ હા પાડી હતી. જેના મહિલાઓએ આપેલાં સૌથી સામાન્ય કારણોમાં ઘર કે બાળકોની ઉપેક્ષા, સાસુ-સસરાનું અપમાન, વિશ્વાસઘાતની શંકા, ખૂબ દલીલ કરવી, સેક્સ માટે ના પાડવી, પતિને પૂછ્યા વિના બહાર જવું અને સારું ભોજન ન બનાવવું સામેલ છે.