ઓલા અને ઉબર સહિતની કૅબ સર્વિસ પ્રોવાઇડર્સની વિરુદ્ધ કસ્ટમર્સની ફરિયાદોમાં વધારો થયો હોવાનું કેન્દ્ર સરકારના ધ્યાનમાં આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી ઃ ઓલા અને ઉબર સહિતની કૅબ સર્વિસ પ્રોવાઇડર્સની વિરુદ્ધ કસ્ટમર્સની ફરિયાદોમાં વધારો થયો હોવાનું કેન્દ્ર સરકારના ધ્યાનમાં આવ્યું છે. એટલા માટે જ આ કંપનીઓને સરકારે વૉર્નિંગ આપી છે કે કસ્ટમર્સની ફરિયાદોનું સમાધાન લાવવા માટે તેઓ તેમની સિસ્ટમમાં સુધારો નહીં કરે તો તેમની વિરુદ્ધ સ્ટ્રિક્ટ ઍક્શન લેવામાં આવશે.
આ કૅબ સર્વિસ પ્રોવાઇડર્સ પર બિઝનેસ માટે અયોગ્ય રીત અપનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ગઈ કાલે આ કંપનીઓના અધિકારીઓની સાથે એક મીટિંગ કરી હતી. એવી પણ ફરિયાદો મળી છે કે ડ્રાઇવર્સ બુકિંગ સ્વીકાર્યા પછી કસ્ટમર્સને ટ્રિપ કૅન્સલ કરવાની ફરજ પાડતા હોય છે, જેના લીધે કસ્ટમર્સે કૅન્સલેશન પેનલ્ટીઝ ચૂકવવી પડે છે.
ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે આ મીટિંગ પછી જણાવ્યું હતું કે ‘અમે તેમને જણાવ્યું છે કે તેમના પ્લૅટફૉર્મ્સની વિરુદ્ધ ફરિયાદો વધી રહી છે. અમે તેમને આંકડાઓ પણ આપ્યા હતા. અમે તેમને કસ્ટમર્સની ફરિયાદોના નિવારણ માટે તેમની સિસ્ટમમાં સુધારો લાવવા જણાવ્યું છે.’
આ કૅબ સર્વિસ પ્રોવાઇડર્સ સામે કસ્ટમર્સની નારાજગી વિશે તેમણે જણાવ્યું હતું કે ‘જાગો ગ્રાહક જાગો’ હેલ્પલાઇન પર કરાતી ફરિયાદો તો હીમશીલાની ટોચ સમાન છે.