‘આપણા જવાનોની બહાદુરી આપણને પ્રત્યેક દિવસ મૉટિવેટ કરે છે. આપણે આ સૈનિકોના બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ.’
નરેન્દ્ર મોદી
ગઈ કાલે ‘કારગિલ વિજય દિવસ’ની ૨૧મી ઍનિવર્સરી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત દેશભરમાંથી અનેક મહાનુભાવોએ તેમ જ વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ અને સંસ્થાઓએ ભારતના શહીદ જવાનોને ભાવભરી અંજલિ આપી હતી. વિશ્વના સૌથી કઠિન અને સૌથી સંઘર્ષપૂર્ણ યુદ્ધોમાં ગણાતા ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં શહાદત મેળવનાર સૈનિકોને યાદ કરતાં મોદીએ કહ્યું હતું કે ‘આપણા જવાનોની બહાદુરી આપણને પ્રત્યેક દિવસ મૉટિવેટ કરે છે. આપણે આ સૈનિકોના બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ.’
રાષ્ટ્રપતિ કોવિંદ ખરાબ હવામાનને કારણે લદાખમાં દ્રાસ ખાતે પહોંચી નહોતા શક્યા, પરંતુ તેમણે બારામુલ્લા મેમોરિયલ ખાતે શહીદોને અંજલિ આપતા કાર્યક્રમમાં હાજરી આપી હતી.
અમિત શાહે ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘કારગિલ યુદ્ધમાં આપણા જવાનોએ જે બહાદુરી બતાવી અને આપણને વિજય અપાવ્યો હતો એને કારણે જ આપણે એ અત્યંત પડકારરૂપ સ્થળે તિરંગો ફરી ફરકાવી શક્યા હતા.’