૭૨ કલાકમાં જવાનના હત્યારા સહિત ૧૨ ટેરરિસ્ટનો સફાયો કરી નાખ્યો
અનંતનાગમાં આતંકવાદીઓ અને આર્મી વચ્ચે થયેલા એન્કાઉન્ટર બાદ ક્ષતિગ્રસ્ત ઇમારત નજીક સ્થાનિક લોકો. પી.ટી.આઇ.
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ ખીણ પ્રદેશમાં છેલ્લા ૭૨ કલાકમાં ચાર એન્કાઉન્ટરમાં ૧૨ આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનું ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) દિલબાગ સિંહે જણાવ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ અલ-બદર, લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને અસાર ઘાઝવાતુલ હિન્દ (એજીયુએચ) સંગઠનના હતા. એમાંથી ૭ આતંકવાદી એજીયુએચના હતા જેમાં જૂથના વડાનો પણ સમાવેશ થતો હતો. જ્યારે ત્રણ આતંકવાદી અલ-બદરના અને બે એલઈટીના હતા, એમ ડીજીપીએ પત્રકારોને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘એલઈટીના માર્યા ગયેલા બે આતંકવાદીઓએ ૯ એપ્રિલે અનંતનાગ જિલ્લાના બિજબેહરા ખાતે લશ્કરના એક જવાનની હત્યા કરી હતી. બન્ને રીઢા આતંકવાદી હતા. એજીયુએચના ૭ આતંકવાદીઓના ખાતમા સાથે આ સંગઠનનો સંપૂર્ણપણે સફાયો કરવામાં આવ્યો છે. છેલ્લા ૭૨ કલાકમાં તમામ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા, એમ ડીજીપીએ ઉમેર્યું હતું.