જસ્ટિસ નાગેશ્વર રાવની અધ્યક્ષતામાં ત્રણ જજની બેન્ચે જણાવ્યું હતું કે રાજ્યો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અપૂરતા પ્રતિનિધિત્વના સંબંધમાં ડેટા કલેક્ટ કરવા માટે બાધ્ય છે
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પ્રમોશનમાં અનામત આપવા માટે ‘માપદંડ નિર્ધારિત’ કરવાની ગઈ કાલે ના પાડી દીધી હતી. જસ્ટિસ નાગેશ્વર રાવની અધ્યક્ષતામાં ત્રણ જજની બેન્ચે જણાવ્યું હતું કે રાજ્યો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અપૂરતા પ્રતિનિધિત્વના સંબંધમાં ડેટા કલેક્ટ કરવા માટે બાધ્ય છે. બેન્ચે જણાવ્યું હતું કે જરનૈલ સિંહ અને નાગરાજના કેસમાં બંધારણીય બેન્ચના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટ કોઈ નવો માપદંડ નક્કી ન કરી શકે. આ બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને બી. આર. ગવઈ પણ સામેલ હતા.
અદાલતે જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અપૂરતા પ્રતિનિધિત્વના સંબંધમાં માહિતીનું કલેક્શન સમગ્ર સર્વિસ કે ક્લાસના સંબંધમાં ન હોવું જોઈએ, બલકે જે પોસ્ટ્સની ગ્રેડ કે કૅટેગરી માટે પ્રમોશન્સ માગવામાં આવ્યું હોય એના સંબંધમાં એ હોવું જોઈએ.
પ્રમાણસર પ્રતિનિધિત્વની વાત છે તો અદાલતે જણાવ્યું હતું કે એ પાસું એણે જોયું નથી તેમ જ પ્રમોશનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું અપૂરતું પ્રતિનિધિત્વ છે કે નહીં એ ચકાસવાનું કામ એણે રાજ્યો પર છોડ્યું છે.