અરજીમાં દિલ્હી અને મહારાષ્ટ્રની સરકાર ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કાયદા તથા ન્યાય મંત્રાલય, ચૂંટણી પંચ અને કાયદા પંચને પક્ષકાર બનાવાયાં છે
સત્યેન્દ્ર જૈન
જેલમાં બંધ દિલ્હીની આપ સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈન અને મહારાષ્ટ્રના નવાબ મલિકને બરતરફ કરવાની માગણીને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. એના પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે આ અરજી ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ રાખવામાં આવશે, ત્યાર બાદ એની સુનાવણી હાથ ધરવામાં આવશે. અરજી કરનાર ઍડ્વોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે આ ઉપરાંત એવી પણ માગણી કરી છે કે જે પ્રકારે કોઈ આઇએએસ અધિકારી કે પબ્લિક સર્વન્ટ બે દિવસ માટે જુડિશ્યલ કસ્ટડીમાં જાય તો તેને અસ્થાયી રીતે હોદ્દા પરથી હટાવી દેવામાં છે તો આ જ વાત વિધાનસભ્યને પણ લાગુ પાડવામાં આવે, અન્યથા કાયદા સમક્ષ તમામ સરખા હોય એ બંધારણની કલમ ૧૪નો એમાં ભંગ થાય છે.
અરજીમાં દિલ્હી અને મહારાષ્ટ્રની સરકાર ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કાયદા તથા ન્યાય મંત્રાલય, ચૂંટણી પંચ અને કાયદા પંચને પક્ષકાર બનાવાયાં છે. અરજીમાં કૅબિનેટ મિનિસ્ટર નવાબ મલિકને હટાવવા માટે કહેવાયું છે, જેમની ૨૩ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. એ ઉપરાંત દિલ્હી સરકારના પ્રધાન જૈનને બરતરફ કરવા માટે પણ જણાવાયું છે, જેમની ધરપકડ ઈડીએ કરી હતી.