આસામમાં રસીથી બચવા માટે લોકો જુદાં-જુદાં બહાનાં બતાવે છે
પ્રતીકાત્મક તસવીર
ઓમાઇક્રોનના ખતરા વચ્ચે વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ દેશના અનેક ભાગમાં લોકોને વૅક્સિનના ડોઝ લેવા સમજાવવા માટે હેલ્થ વર્કર્સને પરસેવો છૂટી જાય છે. આસામના હેલ્થ વર્કર્સની આવી જ સ્થિતિ છે. અહીં વૅક્સિનનો ડોઝ ન લેવા માટે લોકો જુદાં-જુદાં બહાનાં બતાવી રહ્યાં છે.
આસામના તેઝપુરના ચિત્રલેખા નગરમાં ૮૫ વર્ષના રિટાયર્ડ ટીચર જાદવ બસુમુત્રેએ વૅક્સિનથી બચવા માટે ૧૦ દિવસ સુધી તેમની વાઇફની સાથે ઘરમાં લૉક થઈ ગયા હતા. જાદવે કહ્યું હતું કે ‘હું વૃદ્ધ છું. મારી તબિયત સારી નથી. મારી વાઇફ પણ વૃદ્ધ છે. જો મને વૅક્સિન પછી એલર્જી થશે તો મારું શું થશે?’ આસામના પંચાયત અને રુરલ ડેવલપમેન્ટ પ્રધાન રંજીત દાસને તેમને સમજાવતાં કલાકો લાગ્યા હતા.
વૃદ્ધો જ નહીં, પરંતુ આ રાજ્યના અનેક ભાગમાં યુવાનો પણ રસી લેવા માટે તૈયાર નથી.
અહીં રસીથી બચવા માટે લોકો જુદાં-જુદાં બહાનાં આપે છે, જેમ કે એક જણે કહ્યું કે ‘મને બક્ષી દો કેમ કે આજે મારું હૃદય ખૂબ જ જોરથી ધબકે છે. મને રસીના બદલે દવા આપો.’
હેલ્થ વર્કર્સને એક જગ્યાએથી એમ પણ કહેવામાં આવ્યું કે ‘અમારામાં ભૂત ધૂણે છે. જો અમને બળજબરીથી રસી આપવામાં આવશે તો એનું ભયાનક પરિણામ આવશે.’