ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આપણા નવ સૈનિકો માર્યા ગયા છે અને ભારત 24 ઑક્ટોબરે પાકિસ્તાન સામે T20 મેચ રમશે.
અસદુદ્દીન ઓવૈસી. ફાઇલ ફોટો/પીટીઆઈ
જમ્મુ-કાશ્મીરમાં વધતી આતંકવાદી ઘટનાઓ અને ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ચાલી રહેલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ (T20 World Cup)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. 24 ઑક્ટોબરે યોજાનારી આ મેચનો વિરોધ દેશમાં વધુ તીવ્ર બની રહ્યો છે. ગિરિરાજ સિંહ, તારકિશોર પ્રસાદ બાદ હવે અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ પણ આ મેચનો વિરોધ કર્યો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આપણા નવ સૈનિકો માર્યા ગયા છે અને ભારત 24 ઑક્ટોબરે પાકિસ્તાન સામે T20 મેચ રમશે. અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો અને પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતો પર પણ સરકારને ઘેરી હતી.
ADVERTISEMENT
ઓવૈસીએ આરોપ લગાવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય બે બાબતો પર બોલતા નથી. ઓવૈસીએ કહ્યું છે કે મોદી પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સાથે લદ્દાખમાં બેઠેલા ચીન વિશે બોલતા નથી. ઓવૈસીએ સ્પષ્ટ આરોપ લગાવ્યો કે વડા પ્રધાન ચીન પર બોલતા ડરે છે. મહત્ત્વનું છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે.
ઓવૈસીએ કટાક્ષ કરતાં કહ્યું કે PM નરેન્દ્ર મોદી હંમેશાં ચીન પર બોલતા ત્યાં સુધી ડરે છે કે તેઓ ચામાં પણ ચીની (ખાંડ) નાખતા નથી. ઓવૈસીએ કાશ્મીરમાં બહારના લોકોની હત્યા અને ચીનની ઘૂસણખોરીની ઘટનાઓ પર મોદી સરકાર પર નિશાન સાધતાં આકરા પ્રહાર કર્યા હતા.
વધેલી આતંકવાદી ઘટનાઓને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઑક્ટોબરે મેચ ન રમવાની માંગ જોર પકડી રહી છે. સામાન્ય નાગરિકોની સાથે રાજકારણીઓ પણ આ મેચ રદ કરવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, બિહારના ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદે પણ મેચ રદ કરવાની હિમાયત કરી હતી. જોકે, BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મેચ રદ થવાની સંભાવનાને નકારી કાઢતા કહ્યું કે, ICC સાથે અમારી પ્રતિબદ્ધતાને કારણે અમે મેચ રદ કરી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો પાંચ વર્ષ બાદ એકબીજા સામે ટકરાવા જઈ રહી છે. અત્યાર સુધી યોજાયેલી પાંચ T20 વર્લ્ડ કપની મેચોમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. આ બંને ટીમ વચ્ચે છેલ્લી મેચ વર્ષ 2016માં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.