કૃષિ કાયદાના મામલે ચર્ચા ન કરવા બદલ થયો ભારે હોબાળો, આજે ઑમિક્રૉનને લઈને થશે ચર્ચા
પ્રતીકાત્મક તસવીર
ખેડૂતોના મુદ્દે વિપક્ષોના ભારે હંગામાને કારણે લોકસભાના શિયાળુ સત્રની કામગીરી બીજા દિવસે પણ ખોરવાઈ ગઈ હતી. નવા સભ્યએ શપથ લીધા બાદ પ્રશ્નકાળની શરૂઆત થતાં તેલંગણ રાષ્ટ્રીય સમિતિના સંસદસભ્યો મિનિમમ સપોર્ટ પ્રાઇસ (એમએસપી) તથા માર્યા ગયેલા ખેડૂતોને વળતર અપાવવાના મુદ્દે સ્પીકરની ચૅર તરફ ધસી ગયા હતા. સરકાર વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે એવો આરોપ મૂકતાં કૉન્ગ્રેસ, એનસીપી, લેફ્ટ પાર્ટી અને ડીએમકેના સંસદસભ્યોએ લોકસભામાંથી વૉકઆઉટ કર્યો હતો. આ ધમાલ વચ્ચે કાર્યવાહી બે વાગ્યા સુધી રદ કરાઈ હતી. બે વાગ્યે પણ પાછી ધાંધલધમાલ થતાં કાર્યવાહી ૩ વાગ્યા સુધી રદ કરાઈ હતી. ૩ વાગ્યે હાઈ કોર્ટ ઍન્ડ સુપ્રીમ કોર્ટ જજની સૅલેરીમાં સુધારો કરતું બિલ રજૂ કરાયું હતું અને ત્યાર બાદ સ્પીકરે સભાને દિવસ માટે રદ કરી હતી. આજે સંસદમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રૉનના મામલે ચર્ચા હાથ ધરવામાં આવશે.