બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના તમામ વિધાનસભ્યોને આગામી ૭૨ કલાક પટનામાં જ રહેવાનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નીતિશ કુમાર
પટના (આઇ.એ.એન.એસ.) ઃ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના તમામ વિધાનસભ્યોને આગામી ૭૨ કલાક પટનામાં જ રહેવાનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જેડીયુના નેતૃત્વ પાસેથી આનું સત્તાવાર સમર્થન ન મળ્યું હોવા છતાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રકારના આદેશ સીધા મુખ્ય પ્રધાન તરફથી મળ્યા છે. વિધાનસભ્યોને મીડિયા સમક્ષ કોઈ પણ માહિતી શૅર કરવાનું ટાળવા પણ કહેવામાં આવ્યું છે.
જેડીયુનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યસભાના ઉમેદવારના નૉમિનેશન માટે વિધાનસભ્યોની હાજરી આવશ્યક છે. આ ઉપરાંત નીતિશ કુમાર આજે રાજગીર જઈ રહ્યા છે.
આ અગાઉ નીતિશ કુમારે ૨૭ મેએ જાતિ આધારિત વસ્તીગણતરીના મુદ્દે પક્ષના તમામ સભ્યોની મીટિંગનું આયોજન કર્યું છે. આ તમામ બાબત એવો નિર્દેશ કરે છે કે આગામી ૭૨ કલાકમાં બિહારમાં કંઈક અવનવું થનાર છે. બીજેપી દ્વારા જાતિ આધારિત વસ્તીગણતરીમાં સરકારમાં હોવા છતાં વધુ ટેકો નથી આપી રહી તો વિપક્ષના નેતા તેજસ્વી યાદવ આ મામલે સમર્થન આપી રહ્યા છે.
૨૦૧૭માં રાજગીરથી આવ્યા બાદ જેડીયુએ આરજેડી અને કૉન્ગ્રેસ સાથે છેડો ફાડી બીજેપી સાથે જોડાણ કર્યું હતું. હવે ફરી તેઓ રાજગીર જઈ રહ્યા છે ત્યારે ફરી કંઈ નવું બનવાની આશંકા બળવત્તર બની રહી છે.