કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનારા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોર્ચા (એસકેએમ)એ દેશના નાગરિકોને આજના ભારત બંધને સફળ બનાવવા અપીલ કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
આજે ખેડૂતો દ્વારા ભારત બંધ
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનારા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોર્ચા (એસકેએમ)એ દેશના નાગરિકોને આજના ભારત બંધને સફળ બનાવવા અપીલ કરી હતી. નિવેદન મુજબ ખેડૂતો છેલ્લા ચાર મહિનાથી દિલ્હીની બૉર્ડર પર વિરોધ કરી રહ્યા છે અને તેમની માગણી સ્વીકારવાને બદલે સરકાર તેમને જ બદનામ કરી રહી છે. આથી એસકેએમએ શુક્રવાર ૨૬ માર્ચે ભારત બંધની હાકલ કરી છે, સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના આ બંધ દરમ્યાન દેશભરમાં રોડ અને રેલ ટ્રાન્સપોર્ટ, બજારો તેમ જ અન્ય જાહેર સ્થળો બંધ રહેશે. જોકે ઇમર્જન્સી સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં બંધનું પાલન આવશ્યક નથી.
ADVERTISEMENT
સોનિયાને મળ્યાં સુપ્રિયા સુળે
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસેથી મળેલી વિસ્ફોટકો સાથેની એસયુવીના કિસ્સાને પગલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના મુદ્દે રાજ્યમાં કટોકટીની જે સ્થિતિ પ્રવર્તી રહી છે, તે દરમિયાન એનસીપીનાં સાંસદ અને નેશનલ કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સૂળેએ રાજ્યની સ્થિતિ વિશે માહિતી આપવા માટે સોનિયા ગાંધીની મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરૂદ્ધ લાંચના આરોપો સામે આવ્યા, ત્યાર બાદ એનસીપીના કોઇ નેતાની સોનિયા ગાંધી સાથેની આ પ્રથમ મિટિંગ હતી. રવિવારે સોનિયા ગાંધીએ કમલનાથને શરદ પવારને મળવા માટે મોકલ્યા હતા.
દેશભરમાં સીબીઆઇના ૧૦૦ સ્થળોએ દરોડા
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ગુરુવારે દેશભરમાં બૅન્ક સંબંધી ૩૦થી પણ વધુ કેસ સાથે સંલગ્ન ૧૦૦ કરતાં વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યા મુજબ આ કૌભાંડ કુલ ૩૭૦૦ કરોડ રૂપિયાનાં છે.
ફરિયાદી બૅન્કોમાં ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ બરોડા, પંજાબ નૅશનલ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇડીબીઆઇ, કૅનેરા બૅન્ક, ઇન્ડિયન બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાનો સમાવેશ છે. દરોડા જ્યાં પડ્યા છે એ સ્થળોમાં મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવાં શહેરોનો સમાવેશ છે.
એસીબીની ટીમે દરોડા પાડતાં મામલતદારે લાંચની નોટો ગૅસ પર સળગાવી દીધી
રાજસ્થાનમાં ઍન્ટિ-કરપ્શન બ્યુરોની ટીમૈ પિંડવાડા (સિરોહી)ના મામલતદાર કલ્પેશ જૈનના ઘરે દરોડા પાડવા માટે પહોંચી તો જૈને લાંચમાં લીધેલા ૧૫ લાખ રૂપિયાની નોટો ગૅસના સ્ટવ પર મૂકીને સળગાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કલ્પેશ જૈનના ઘરે બુધવારે રાતે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ ૮ બૅન્ક-અકાઉન્ટ, ત્રણ પોસ્ટઑફિસ અકાઉન્ટ અને ઑફિસ લૉકરને સીલ મારી દીધાં છે.