આણંદ જિલ્લાના બોરસદમાં સવાઅગિયાર ઇંચ વરસાદ ખાબક્યો અને વધુ સમાચાર
વાતાવરણ મંત્રોથી ગુંજી ઊઠ્યું : પુરીમાં ગઈ કાલે ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા દરમ્યાન ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના રથની પાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ. કોરોનાની મહામારીના કારણે બે વર્ષના બ્રેક બાદ આ યાત્રાનો ગઈ કાલથી આરંભ થયો હતો. વાતાવરણ મંત્રોથી ગુંજી ઊઠ્યું હતું.
અગ્નિપથ યોજના હેઠળ આર્મી અને નેવીમાં ભરતી-પ્રક્રિયા શરૂ
નવી દિલ્હી : ભારતીય આર્મી અને નેવીએ અગ્નિપથ યોજના હેઠળ તેમની ભરતી-પ્રક્રિયા ગઈ કાલથી શરૂ કરી હતી. ઇન્ડિયન ઍરફોર્સે આ યોજના હેઠળ ૨૪ જૂનથી એની ભરતી-પ્રક્રિયા શરૂ કરી હતી અને ગુરુવાર સુધી ઍરફોર્સને ૨.૭૨ લાખ અરજીઓ મળી છે. સંરક્ષણ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ઇન્ડિયન નેવીમાં અગ્નિવીરો માટે રજિસ્ટ્રેશન્સની ગઈ કાલથી શરૂઆત થઈ છે. ઇન્ડિયન આર્મીમાં જોડાઓ. અગ્નિવીર તરીકે દેશની ફરજ બજાવવાનું તમારું સપનું સાકાર કરો.’
ADVERTISEMENT
ઉદયપુર ટેલર હત્યા કેસ : ટીકા બાદ ૩૨ આઇપીએસ અધિકારીઓની ટ્રાન્સફર
ઉદયપુર : ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની ક્રૂર હત્યાના કેસમાં ઉદયપુર પોલીસની ખૂબ ટીકા થઈ છે. એટલે જ હવે ઉદયપુરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર જનરલ સહિત ૩૨ આઇપીએસ અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. બીજેપીના સસ્પેન્ડ કરાયેલાં નેતા નૂપુર શર્માના સપોર્ટમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટ બદલ કન્હૈયાલાલને ધમકીઓ મળી રહી હતી. તેણે એની પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં તેને સુરક્ષા પૂરી ન પાડવા બદલ ઉદયપુર પોલીસની ખૂબ જ ટીકા થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ સંવેદનશીલ કેસની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી છે.
આદિવાસીઓએ કહ્યું, અમે ન તો હિન્દુ છીએ કે ખ્રિસ્તી
નવી દિલ્હીઃ ઝારખંડ, ઓડિશા અને આસામ સહિત પાંચ રાજ્યોના આદિવાસી સમુદાયોના મોટી સંખ્યામાં લોકોએ નવી દિલ્હીમાં ગુરુવારે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમની માગણી છે કે કેન્દ્ર સરકાર તેમના ધર્મને ‘સરના’ તરીકે માન્યતા આપે અને વસ્તી ગણતરીમાં આ કૅટેગરી હેઠળ તેમની ગણતરી કરાય. આ આદિવાસીઓએ કહ્યું હતું કે, ‘અમે આદિવાસીઓ ન હિન્દુ છીએ કે ન તો ખ્રિસ્તી. અમારો ધર્મ અલગ છે.’
બોરસદમાં રાતે આભ ફાટ્યું – સવાઅગિયાર ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદ : ગુરુવારની રાત આણંદ જિલ્લાના બોરસદ માટે ભારે મુસીબત લઈને આવી હતી. બોરસદવાસીઓ અને આસપાસના ગ્રામ્યજનો રાતે શાંતિથી ઊંઘ લઈ રહ્યા હતા ત્યારે બોરસદમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગુરુવારે મોડી રાતે ૨૮૨ મિમી એટલે કે સવાઅગિયાર ઇંચ જેટલો વરસાદ પડતાં બોરસદ જાણે પાણીમાં જળબંબોળ બની ગયું હતું. બોરસદનું વન તળાવ ઓવરફ્લો થતાં આસપાસનાં ૩૦૦થી વધુ મકાનોમાં વરસાદનાં અને તળાવનાં પાણી ભરાઈ જતાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ગઈ કાલે પણ બોરસદ અને એની આસપાસનાં ગામડાંઅરોમાં કેડ સમાણાં પાણી ભરાયેલાં હતાં.