આઇએસઆઇ સાથે સંપર્ક ધરાવતા ૪૦ વર્ષના પાકિસ્તાની નાગરિકની પોલીસે દિલ્હીથી ધરપકડ કરી છે. તેના રહેઠાણ પરથી એકે-૪૭ સહિતનાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.
દિલ્હીથી પાકિસ્તાની આતંકવાદી પકડાયો
પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાંથી એક પાકિસ્તાની આતંકવાદી પકડાયો છે. આઇએસઆઇ સાથે સંપર્ક ધરાવતા ૪૦ વર્ષના પાકિસ્તાની નાગરિકની પોલીસે દિલ્હીથી ધરપકડ કરી છે. તેના રહેઠાણ પરથી એકે-૪૭ સહિતનાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. તે દિલ્હીમાં આતંકવાદી હુમલાનો પ્લોટ ઘડતો હોવાની આશંકા સેવાઈ રહી છે.
ડેપ્યુટી કમિશનર (સ્પેશ્યલ સેલ) પ્રમોદ સિંહ કુસવાહે માહિતી આપતાં કહ્યું હતું કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો વતની મોહમ્મદ અશર અલિયાસઅલી બંગલાદેશના માર્ગે ભારતમાં આવ્યો હતો અને બનાવટી દસ્તાવેજોને આધારે ભારતનાં ઓળખપત્રો તૈયાર કરાવી છેલ્લાં દસ વર્ષથી અહીં રહેતો હતો. તેમણે ઉમેર્યું હતું કે તે મૌલાના હોવાનો ડોળ કરી અહીં રહેતો હતો. આ આતંકવાદીને આઇએસઆઇ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. દસ વર્ષમાં તેણે પાંચથી છ લૉકેશન બદલ્યા હતા. કોઈ સ્થળે તે લાંબો સમય રહ્યો નહીં અને દસ્તાવેજો મેળવવા તે અહીંની મહિલાને પરણ્યો હતો.
લાલુ યાદવને જેલમાં મોકલનાર અધિકારી હવે પીએમના સલાહકાર
ADVERTISEMENT
બિહાર-ઝારખંડ કેડરના ૧૯૮૫-બેચના આઇએસએ અધિકારી અમિત ખરેએ ડિસેમ્બર ૨૦૧૯માં શિક્ષણ મંત્રાલયના સચિવ તરીકે જવાબદારી સંભાળી હતી. તેમની નિમણૂકના ટૂંક સમયમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૯ જુલાઈ ૨૦૨૦ના રોજ કૅબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ચારા કૌભાંડનો પર્દાફાશ કરનાર અધિકારી અમિત ખરે પણ છે. તેમણે ચાયબાસાના ડેપ્યુટી કમિશનર તરીકે ચારા કૌભાંડમાં એફઆઇઆર નોંધાવી હતી, ત્યાર બાદ આ મામલે વેગ પકડ્યો હતો અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદના નામ સહિત ઘણા નેતાઓ અને અધિકારીઓનાં નામ ખૂલ્યાં હતાં. એ કેસમાં જ લાલુ પ્રસાદ આજે પણ જેલના સળિયા પાછળ છે. ભૂતપૂર્વ કેન્દ્રીય સચિવ અને ૧૯૮૫ બેચના અધિકારી અમિત ખરેને મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અમિત ખરે ૩૦ સપ્ટેમ્બરે સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે કૅબિનેટની નિમણૂક સમિતિએ વડા પ્રધાન કાર્યાલયમાં પીએમના સલાહકાર તરીકે અમિત ખરેની નિમણૂકને મંજૂરી આપી છે.
રાકેશ અસ્થાનાની નિમણૂક યોગ્ય : દિલ્હી હાઈ કોર્ટ
દિલ્હી પોલીસ-કમિશનર તરીકે રાકેશ અસ્થાનાની નિમણૂકને પડકારતી પિટિશન દિલ્હી હાઈ કોર્ટે ફગાવી કાઢી છે. ન્યાયમૂર્તિ ડી. એન. પટેલ અને ન્યાયમૂર્તિ જ્યોતિ સિંહની બેન્ચે કહ્યું હતું કે ૧૯૮૪ની બેચના ગુજરાત-કેડરના આઇપીએસ ઑફિસર રાકેશ અસ્થાનાની નિમણૂકમાં કોઈ જ ગેરરીતિ કે કાયદાનું ઉલ્લંઘન જોવા મળ્યું નથી. કોર્ટે તેમનાં ૭૭ પાનાંના જજમેન્ટમાં કહ્યું હતું કે રાકેશ અસ્થાનાની નિમણૂક જે પ્રક્રિયાને અનુસરીને કરવામાં આવી છે એ જ પ્રક્રિયાને અનુસરીને દિલ્હીમાં ૮ જેટલા પોલીસ-કમિશનરની નિમણૂક ૨૦૦૬થી અત્યાર સુધી થઈ છે. આ વિશે યુપીએસસી કે બીજા કોઈ પણ દ્વારા ક્યારેય વાંધો ઉપાડવામાં આવ્યો નથી. દેશની રાજધાનીની વિશેષ જરૂરતોને ધ્યાનમાં રાખીને છેલ્લા દાયકાથી આ પ્રક્રિયા અનુસરવામાં આવી છે.
બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવતા રાકેશ અસ્થાનાની (૩૧ જુલાઈએ વયનિવૃત્તિના ચાર જ દિવસ પહેલાં) ૨૭ જુલાઈએ દિલ્હીના પોલીસ-કમિશનર તરીકે નિમણૂક થઈ હતી.
આઇટીના દરોડામાં મળ્યા ૭૫૦ કરોડ
રામરહીમની સજાની સુનાવણી મુલતવી
ડેરાસચ્ચા સોદાના પૂર્વ મૅનેજર રંજિતસિંહની હત્યાના કેસમાં રામરહીમને સજાની સુનાવણી ૧૮ ઑક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે. હરિયાણાના પંચકુલામાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે આજે સુનાવણી પછી ફેંસલાને સુરક્ષિત રાખ્યો છે. ૧૯ વર્ષ જૂના આ હત્યાકેસમાં સીબીઆઇ કોર્ટ દ્વારા ૮ ઑક્ટોબરે ડેરાસચ્ચા સોદાના પ્રમુખ ગુરમીતસિંહ રામરહીમને દોષી જાહેર કર્યા હતા. રામરહીમ અત્યારે ચંડીગઢથી ૨૫૦ કિલોમીટર દૂર રોહતકની જેલમાં શિષ્યાના રેપ કેસ મામલે ૨૦ વર્ષની સજા કાપી રહ્યો છે અને ૨૦૦૨માં એક પત્રકારની હત્યાના કેસમાં રામરહીમને આજીવન કેદની સજા જાહેર થઈ ચૂકી છે.