દિલ્હીસ્થિત હેકર્સની ટીમ સતત ચીન તથા પાકિસ્તાન પર સાઇબર હુમલો કરવા મથી રહી છે.
પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક
દિલ્હીસ્થિત હેકર્સની ટીમ સતત ચીન તથા પાકિસ્તાન પર સાઇબર હુમલો કરવા મથી રહી છે. ગ્લોબલ ટાઇમ્સના અહેવાલોમાં આવો દાવો કરાયો છે. આ અહેવાલ પ્રમાણે યુ ઝિયાંગ(બેબી એલિફન્ટ) નામનું સંગઠન ચીન અને પાકિસ્તાનના રક્ષા વિભાગ અને અન્ય સરકારી એજન્સી પર સાઇબર હુમલો કરીને તેમના ટાર્ગેટ, ટેક્નોલૉજી અને સાધનોની માહિતી ખુલ્લી પાડી રહ્યા છે. આ હેકર્સની ટીમ દ્વારા સૌથી પહેલાં ર૦૧૭માં હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ત્યારથી દર વર્ષે બમણાં હુમલા થઈ રહ્યા છે, પણ આ હુમલાઓને ચીનની સાઇબર સિક્યૉરિટી કંપની દ્વારા ડિટેક્ટ કરી દેવામાં આવ્યા હતા. ત્યાંના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હેકર્સ નેપાળની પોલીસ, રક્ષા વિભાગની મેઇલ સિસ્ટમના બનાવટી નામે કમ્પ્યુટરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. નેપાળની પોલિંગ અૅપ્લિકેશન તરીકે પણ હેકર્સે અટૅક કરવાનો પ્રયાસ કર્યો હતો. આમાંનો એક હેકર ટ્રોજન હોર્સ અપલોડ કરતાં તે દિલ્હીસ્થિત હોવાની ખાતરી થઈ હતી. મોટું નેટવર્ક ધરાવતા હોવાથી આ હેકર્સ એક સ્થળે જ હોવાનું અનુમાન છે. અધિકારીએ ઉમેર્યું હતું કે દક્ષિણ એશિયામાં આ હેકર્સ અત્યારે સૌથી વધારે ધ્યાન માગી લે છે.
કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગઈ કાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક અજાણ્યો આતંકવાદી મરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. સુરક્ષા દળોને સાઉથ કાશ્મીરના અશ્મુજી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં તેમની શોધ ચલાવાઈ હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. કાર્યવાહી દરમ્યાન છુપાયેલા આતંકવાદીઓએ લશ્કરના જવાનો પર ગોળીબાર કરતાં સામસામો ગોળીબાર શરૂ થયો હતો જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. મરનાર આતંકવાદી તેમ જ તેની સાથે સંકળાયેલા આતંકવાદી જૂથની હજી સુધી ઓળખ કરી શકાઈ નથી.
નરેન્દ્રગિરિના શિષ્યો વિરુદ્ધ સુસાઇડ માટે ઉશ્કેરણીનો આરોપ
લખનઉ : અખિલ ભારતીય અખાડા પરિષદના વડા મહંત નરેન્દ્રગિરિના કથિત આત્મહત્યાના કેસમાં સીબીઆઇએ આનંદગિરિ સહિત ત્રણ વ્યક્તિઓની વિરુદ્ધ ઉશ્કેરણી અને અપરાધિક ષડ્યંત્રના આરોપો ઘડ્યા છે. મહંત નરેન્દ્રગિરિ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સપ્ટેમ્બરમાં તેમના આશ્રમમાં મૃતઅવસ્થામાં મળ્યા હતા. આનંદ સિવાય નરેન્દ્રગિરિના શિષ્યો આદ્ય પ્રસાદ તિવારી અને સંદીપ તિવારીના પણ ચાર્જશિટમાં નામ છે. નરેન્દ્રગિરિની સુસાઇડ-નોટમાં આ ત્રણેયનાં નામ છે. આ ત્રણેયે તેમને મેન્ટલી હૅરેસ કર્યા હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો જેના પગલે પોલીસે સુસાઇડ માટે ઉશ્કેરણીના આરોપસર એફઆઇઆર દાખલ કર્યો હતો. આ ત્રણેય આરોપી ઑલરેડી જેલમાં છે.
ક્રિસમસ નિમિત્તે વધારાની ટ્રેનો દોડશે
આઇ.આર.સી.ટી.સી. દ્વારા જાહેરાત કરાઈ છે કે ક્રિસમસના દિવસોમાં સેન્ટ્રલ રેલવે સાથે સમન્વય સાધીને એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવામાં આવશે. ક્રિસમસ અને નવા વર્ષના તહેવારોમાં પ્રવાસીઓની ભીડને પહોંચી વળવા વધારાની ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવશે. આ ટ્રેનોનું બુકિંગ ર૦ નવેમ્બરથી બુકિંગ કાઉન્ટર અને વેબસાઇટ પર શરૂ થશે. રર નવેમ્બરથી ૩ જાન્યુઆરી સુધી મડગાંવથી પનવેલ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દર સોમવારે દોડશે. પનવેલથી સવારે ૦૬-૦૫ વાગ્યે ઊપડી આ ટ્રેન સાંજે ૧૮-૪૫ વાગ્યે મડગાંવ પહોંચશે.