જોકે હજી જોખમ છે એટલે જનતાએ કોવિડના નિયમોનું પાલન કરવું જ પડશે
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસની બીજી લહેર સામે ઝઝૂમી રહેલા ભારત માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત ચાર દિવસ સુધી ભારતમાં કોરોનાના ચાર લાખ કરતાં વધુ નવા કેસો નોંધાયા બાદ હવે છેલ્લા બે દિવસથી કેસોમાં ઘટાડો નોંધાયો છે. એના આધારે નિષ્ણાતો કહી રહ્યા છે કે દેશમાં કોરોનાની બીજી લહેરનાં હવે વળતાં પાણી શરૂ થયાં છે. સફદરજંગ હૉસ્પિટલના કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રમુખ ડૉક્ટર જુગલ કુશરના જણાવ્યા પ્રમાણે દેશમાં બીજી લહેરની ચરમસીમા હવે ખતમ થઈ ચૂકી છે. તેમના જણાવ્યા પ્રમાણે હવે કેસો ધીમે-ધીમે પણ સતત ઘટતા જશે. જોકે તેમણે એ પણ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે બીજી લહેરની ચરમસીમા ખતમ થઈ ગઈ હોવા છતાં રાજ્ય સ્તરે એ હજી પણ સંપૂર્ણપણે પૂરી થઈ નથી. કેટલાંક રાજ્યોમાં બીજી લહેરની પરાકાષ્ઠા આવી ચૂકી છે તો કેટલાંક રાજ્યોમાં હજી પણ એ આવી નથી. આથી જોખમ હજી ટળ્યું નથી.