કોવિડ 19: દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 12 લાખની નજીક
પ્રતીકાત્મક તસવીર
વિશ્વમાં કોરોના માટેની રસી બનાવવાની હોડ ચાલી રહી છે ત્યારે દેશમાં કોરોનાએ હવે ૩૦,૦૦૦ કરતાં વધુ કેસનો આંકડો જકડી રાખ્યો હોય એમ અનલૉક-2.0ના બાવીસમા દિવસે ૩૮,૪૪૪ નવા કેસ ઉમેરાયા હતા. એ સાથે વધુ ૬૪૮નાં મોત થયાં હતાં. ગઈ કાલે બુધવારે સવારે છેલ્લા ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ગઈ કાલના નવા કેસ સાથે હવે કોરોનાના કેસની સંખ્યા ૧૨ લાખની નજીક પહોંચવામાં છે. કુલ કેસ ૧૧,૯૪,૧૦૫ થયા છે. સારવાર હેઠળના કેસની સંખ્યા વધીને ૪,૧૨,૫૩૭ થઈ છે તો સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૭,૫૨,૩૯૩ થઈ છે. ગઈ કાલે વધુ ૨૮,૪૭૨ દર્દીઓ સાજા થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક વધીને ૨૮,૦૦૦ની ઉપર એટલે કે ૨૮,૭૭૦ થયો છે. જોકે સાથે રિકવરી રેટ વધીને ૬૩.૧૩ ટકા થયો છે.
આ તરફ આંધ્ર પ્રદેશ સરકાર શિક્ષક દિન ૫ સપ્ટેમ્બરે શાળાઓ ખોલવાની યોજના બનાવી રહી છે. સરકારે કહ્યું કે અંતિમ નિર્ણય ૧ સપ્ટેમ્બરે કોરોનાની સ્થિતિ પ્રમાણે લેવાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આગામી 15 દિવસ ભારત માટે ખૂબ જ ઘાતક સાબિત થશે
ભારતમાં અનેક રાજ્યોમાં કોરોનાને કારણે લૉકડાઉન લાગુ છે. બિહાર, સિક્કિમ, નાગાલૅન્ડ જેવાં રાજ્યોમાં પૂર્ણ લૉકડાઉન છે. પશ્ચિમ બંગાળમાં અઠવાડિયામાં બે દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં વીકેન્ડમાં લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.