ટીએમસીમાં જોડાયેલા યશવંત સિંહાનો દાવો, કહ્યું...
યશવંત સિંહા
અટલ બિહારી વાજપેયીની સરકારમાં કૅબિનેટ કક્ષાના પ્રધાનપદે રહી ચૂકેલા અને કેટલાક વખતથી બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ તરફ અસંતુષ્ટ યશવંત સિંહા ગઈ કાલે તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)માં જોડાયા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં કેટલાંક અઠવાડિયાં પૂર્વે એ રાજ્યના શાસક પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાવા પાછળ બીજેપીને હરાવવાનો ઉદ્દેશ હોવાનું ભૂતપૂર્વ સરકારી અમલદાર યશવંત સિંહાએ જણાવ્યું હતું. કલકત્તામાં નવા પક્ષમાં સામેલ થવાની ઔપચારિકતા પૂરી થયા બાદ યશંવત સિંહાએ ૧૯૯૯ની ૨૪ ડિસેમ્બરે બનેલી ઘટના વિશે એવો દાવો કર્યો હતો કે જ્યારે ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે આતંકવાદીઓ વિમાનને કંદહાર લઈ ગયા હતા. એ વખતે કૅબિનેટમાં ચર્ચા થઈ રહી હતી ત્યારે મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘હું પોતે કંદહાર જઈશ. શરત માત્ર એ હોવી જોઈએ કે જેમનું અપહરણ કરવામાં આવ્યું છે તેને આતંકવાદીઓ છોડી દે. હું પોતે તેમના કબજામાં જતી રહીશ અને દેશ માટે કુરબાની આપવી પડે તો આપી દઈશ.’