૧૫ વર્ષ શાસન છતાં મત વધવો એક સારી વાત કહી શકાય
બીજેપીની મતની ટકાવારી વધી છતાં પણ કેમ હારી?
દિલ્હી સુધરાઈની ચૂંટણીમાં ભલે બીજેપી આપ સામે હારી ગઈ હોય, પરંતુ ખરેખર એને મળનારા મતની ટકાવારી ૨૦૧૭ની ચૂંટણી કરતાં પણ વધુ હતી. ૨૦૧૭માં એને ૩૭ ટકા મત મળ્યા હતા, પરંતુ આ વખતે ૩૯ ટકા મત મળ્યા છે. આમ બે ટકાનો વધારો થયો છે. ૧૫ વર્ષ શાસન છતાં મત વધવો એક સારી વાત કહી શકાય. બીજી તરફ કૉન્ગેસને ગયા વખતે ૩૦ સીટ મળી હતી તેમ જ ૨૧ ટકા જેટલા મત મળ્યા હતા, પરંતુ આ વખતે એને ૧૧.૬૮ ટકા જ મત મળ્યા છે તેમ જ માત્ર ૯ ટકા સીટ જ જીતી શકી હતી. કૉન્ગ્રેસનો કોઈ પણ નેતા શીલા દિિક્ષત બાદ દિલ્હી જીતવામાં સફળ થઈ શક્યો નથી.
આપ જીત્યું એમાં બીજેપીનો કોઈ હાથ નથી, પરંતુ ખરેખર તો આપ બીજેપીની વિરુદ્ધ જે કંઈ આક્રોશ હતો એને પોતાના મતમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યું હતું. જે મત કૉન્ગ્રેસ, બહુજન સમાજ પાર્ટી તેમ જ અપક્ષોને જતા હતા એ તમામ આપને મળ્યા હતા. બીજેપીએ એક્ઝિટ પોલને પણ ખોટું પાડ્યું હતું. મોટા ભાગના એક્ઝિટ પોલે બીજેપી ૧૦૦નો આંક પાર કરી શકશે નહીં એવી આગાહી કરી હતી, પરંતુ એનાથી ઊલટું એ ૧૦૪ સીટ જીતી છે.