આગ લાગવાના કારણે કોઈ પણ પેશન્ટનું મૃત્યુ થયું નથી
અમ્રિતસરમાં ગુરુનાનક દેવ હૉસ્પિટલમાં ગઈ કાલે બપોરે ભીષણ આગ લાગી હતી
પંજાબના અમ્રિતસરમાં ગુરુનાનક દેવ હૉસ્પિટલમાં ગઈ કાલે બપોરે ભીષણ આગ લાગી હતી. ઓપીડીની પાસે એક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, જેના પછી આ બિલ્ડિંગમાં આગ ફેલાઈ હતી. થોડા જ સમયમાં સ્કિન અને કાર્ડિયોલૉજી વૉર્ડમાં પણ જ્વાળાઓ ફેલાઈ હતી. ફાયર ડિપાર્ટમેન્ટે ખૂબ સંઘર્ષ બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો. હૉસ્પિટલમાંથી સમયસર ૬૫૦ જણને સુરક્ષિત સ્થાને લઈ જવાયા હતા. આ હૉસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં ઓપીડીની પાસે રહેલા બે ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફૉર્મરમાં વિસ્ફોટ થયો હતો. આગ લાગવાના કારણે કોઈ પણ પેશન્ટનું મૃત્યુ થયું નથી.