કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી મહારાષ્ટ્ર સરકારેે આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પ્રતીકાત્મક તસવીર
હાલ દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે, પરંતુ આ સાથે જ ત્રીજી લહેરની પણ ભારે સંભાવના છે. એવા સમયે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો દ્વારા આગમચેતીના ભાગરૂપે કેટલીક તૈયારી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઓક્સિજનન ઉત્પાદનમાં વધારો કરવા જણાવ્યું છે.
હાલમાં રાજ્યમાં એલએમઓ ઉત્પાદન દૈનિક 1,300 ટનનું ઉત્પાદન થાય છે. જેમાં વધારો કરી રોજનું 3000 જેટલું ઉત્પાદન કરવાનો લક્ષ્ય ઠાકરેએ ઉત્પાદકોને આપ્યો છે.
ADVERTISEMENT
રાજ્યની મોટી ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પ્રતિનિધિઓ સમક્ષ `ઓક્સિજન સ્વાવલંબન યોજના`નું અનાવરણ કરતા ઠાકરેએ જણાવ્યું હતું કે આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી ઓક્સિનજનું ઉત્પાદન વધારવા માટે ઉદ્યોગને અનેક પ્રોત્સાહનો અપાયા છે. આગામી ચાર અઠવાડિયમાં ઓક્સિજનનું ઉત્પાદન કરી તેનો સંગ્રહ કરવાનો છે.
વર્ચ્યુઅલ મીટમાં હાજર ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ કંપનીઓના કેટલાક અધિકારીઓમાં લિન્ડે ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એમ. બેનર્જી, જેએસડબલ્યુ ટેક્નો પ્રોજેક્ટના પ્રમુખ જી. હોલ્ડિંગ્સના એમડી બર્ટ્રેન્ટ મોની, કોલ્હાપુર ઓક્સિજન અને એસીટિલિનના સીઈઓ આર. ગાડવે અને ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ગેસ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ સાકેત ટીકુ સહિતનાઓ હાજર રહ્યા હતાં.
મુખ્યપ્રધાને કહ્યું કે બીજી લહેર દરમિયાન Liquid Medical Oxygen (એલએમઓ)ની ભારે માગ ઉભી થઈ હતા. ત્યારે હવે ત્રીજી લહેરને ધ્યાને રાખી ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો કરી સંગ્રહ કરવાની જરૂર છે. હજી પણ કેટલાક જિલ્લાઓમાં કોવિડ -19ના દર્દીઓની સંખ્યા વધારે છે. તેમણે ઉમેર્યુ કે કોરોનાનો નવો વેરિઅન્ટ હાલ પગ પેસારો કરી રહ્યો છે. આપણને નથી ખબર તે કેટલો ઘાતકી છે. આવી સ્થિતિમાં કોઈ પણ જોખમ લેવા કરતાં આપણે આપણી તૈયારીમાં રહેવું જરૂરી છે. ઓક્સિજન મામલે આપણે આત્મનિર્ભર બનવું આવશ્યક છે.
પ્રથમ અગ્રતા લોકોના જીવનને બચાવવાની છે તેવું પુનરાવર્તન કરી મુખ્યપ્રધાન ઠાકરેએ સ્વીકાર્યું કે લોકડાઉનને કારણે ઉદ્યોગોને પણ તકલીફ પડી રહી છે. આ સાથે જ તેમણે કહ્યું કે કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી ધીરે ધીરે પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા છે.