રોજ સરેરાશ ૩૦,૯૩,૮૬૧ વૅક્સિનેશન, દેશમાં ૨૪ કલાકમાં ૧.૧૫ લાખથી વધુ નવા કેસ, ૬૩૦નાં મોત
પ્રતીકાત્મક તસવીર
વૅક્સિનેશનમાં ભારત અમેરિકાથી વધારે ઝડપી સાબિત થયું છે. રોજના ડોઝની સરેરાશ ૩૦,૯૩,૮૬૧ નોંધાઈ છે અને કુલ વૅક્સિનેશન્સ ૮,૭૦,૭૭,૪૭૪ નોંધાયા છે. ભારતમાં ૬ એપ્રિલે એન્ટિ કોવિડ વૅક્સિનેશનના ૮૧મા દિવસ દરમ્યાન ૩૩,૩૭,૬૦૧ વૅક્સિન ડોઝ અપાયા હતા. તેમાં ૩૦,૦૮,૦૮૭ લોકોને પહેલો ડોઝ અને ૩,૨૯,૫૧૪ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે સવારે સાત વાગ્યે નોંધેલા ચોવીસ કલાકના આંકડા મુજબ કુલ વૅક્સિનેશન્સમાં ૮૯,૬૩,૭૨૪ હેલ્થકૅર વર્કર્સે વૅક્સિનનો પહેલો ડોઝ અને ૫૩,૯૪,૯૧૩ હેલ્થકૅર વર્કર્સે વૅક્સિનનો બીજો ડોઝ લીધો છે. ૯૭,૩૬,૬૨૯ ફ્રન્ટ લાઇન વર્કર્સે એન્ટિ કોવિડ વૅક્સિનનો પહેલો ડોઝ અને ૪૩,૧૨,૮૨૬ ફ્રન્ટલાઇન વર્કર્સે બીજો ડોઝ લીધો છે. ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકોમાં ૩,૫૩,૭૫,૯૫૩ જણે વૅક્સિનનો પહેલો ડોઝ અને ૧૦,૦૦,૭૮૭ જણે બીજો ડોઝ લીધો છે. ૪૫ વર્ષથી ૬૦ વર્ષ વચ્ચેની ઉંમરના લોકોમાં ૨,૧૮,૬૦,૭૦૯ જણે વૅક્સિનનો પહેલો ડોઝ અને ૪,૩૧,૯૩૩ જણે બીજો ડોઝ પણ લીધો છે.
બીજી તરફ ગઈ કાલે સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલી વિગતો મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના ૧.૧૫ લાખ કરતાં વધુ નવા કેસ નોંધાવા સાથે દૈનિક કેસમાં ભારત વૈશ્વિક સ્તરે મોખરે રહ્યું છે. નવા ૧,૧૫,૭૩૬ કેસ સાથે દેશમાં કોવિડ-૧૯ સંક્રમિતોનો આંકડો ૧,૨૮,૦૧,૭૮૫ પર નોંધાવા સાથે છેલ્લા ત્રણ દિવસમાં ગઈ કાલે બીજી વખત કોરોના વાઇરસના નવા સંક્રમિતોનો આંકડો એક લાખને પાર પહોંચ્યો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગઈ કાલે જાહેર કરાયેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું.
એક દિવસનાં ૬૩૦ મૃત્યુ સાથે કોરોના વાઇરસને કારણે થયેલાં મૃત્યુની સંખ્યા ૧,૬૬,૧૭૭ પર નોંધાઈ હોવાનું વિગતોમાં જણાવાયું હતું. ગઈ કાલે સતત ૨૮મા દિવસે દૈનિક કેસમાં નોંધાયેલા વધારા સાથે દેશમાં ઍક્ટિવ કેસનો આંકડો ૮,૪૩,૪૭૩ નોંધાયો હતો, જે કુલ કેસલોડના ૬.૫૯ ટકા હતો, જ્યારે કે રિકવરી રેટ ઘટીને ૬.૫૯ ટકા રહ્યો હતો.