પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લામાં દોહોમોની પાસે ગઈ કાલે સાંજે બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના ૧૨ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા અને જેમાંથી કેટલાક ઊંધા વળી ગયા હતા, જેમાં ઓછામાં ઓછા ૫ જણનાં મોત થયાં હતાં
બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના ૧૨ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા
કલકત્તા - ગુવાહાટી (પી.ટી.આઇ.)ઃ પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લામાં દોહોમોની પાસે ગઈ કાલે સાંજે બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના ૧૨ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા અને જેમાંથી કેટલાક ઊંધા વળી ગયા હતા, જેમાં ઓછામાં ઓછા ૫ જણનાં મોત થયાં હતાં અને ૪૫થી વધુ લોકોને ઈજા થઈ છે. કેટલાક દરદીઓની હાલત ગંભીર છે.
આ ટ્રેન પટનાથી આવી રહી હતી. રાતે અંધારામાં રાહત-કામગીરી ચાલી રહી છે અને ઈજાગ્રસ્તોને જલપાઇગુડી સદર હૉસ્પિટલમાં લઈ જવાયા છે. આ દુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોકે કેટલાક અહેવાલોમાં આ દુર્ઘટના માટે ‘ટ્રૅકમાં ફૉલ્ટ’નું કારણ આપવામાં આવ્યું છે.
ઘટનાસ્થળેથી આવી રહેલી તસવીરોમાં જોવા મળ્યું છે કે સંખ્યાબંધ કોચ ટ્રૅક્સની પાસે પડ્યા છે અને રાહત કાર્યકરો કોચમાંથી પૅસેન્જર્સને બહાર કાઢી રહ્યા છે. જે રીતે લગભગ પાંચેક કોચનો કચ્ચરઘાણ વળી ગયો છે એને જોતાં મૃત્યુઆંક વધી શકે છે.
નૉર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના અલીપુઅરદૌર સેક્શનના ડિવિઝનલ રેલવે મૅનેજર દિલીપકુમાર સિંહે જણાવ્યું હતું કે કોરોનાને કારણે એક પણ કોચ પૂરેપૂરી કૅપિસિટીથી ભરાયા નહોતા. અનેક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માતની વિગતો મેળવી હતી. ભારતીય રેલવેએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયા, ગંભીર રીતે ઇજાગ્રસ્તો માટે એક લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તો માટે ૨૫,૦૦૦ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.