આસામના પૉલિટિશ્યન અજમલે વસ્તી વિશે આમ કહીને નવો વિવાદ સરજ્યો
પ્રતીકાત્મક તસવીર
કરીમગંજ, આસામ : આસામના પૉલિટિશ્યન અને ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના વડા બદરુદ્દીન અજમલે હવે એમ કહીને નવો વિવાદ સરજ્યો છે કે હિન્દુઓએ મુસ્લિમોની ફૉર્મ્યુલા અપનાવવી જોઈએ અને તેમનાં સંતાનોને નાની ઉંમરે પરણાવી દેવાં જોઈએ.
તેમણે કહ્યું હતું કે ‘મુસ્લિમ છોકરાઓ ૨૦-૨૨ વર્ષની ઉંમરે મૅરેજ કરી લે છે, સરકારે મંજૂરી આપ્યા બાદ છોકરીઓ ૧૮ વર્ષની ઉંમરે મૅરેજ કરી લે છે. બીજી તરફ હિન્દુઓ મૅરેજ પહેલાં ૪૦ વર્ષની ઉંમર સુધી એક, બે કે ત્રણ ગેરકાયદે પત્ની રાખે છે, આ સંબંધોથી બાળકોનો જન્મ થવા દેતા નથી. તેમનો ખર્ચ બચી જાય છે અને તેઓ મજા કરે છે.’
મુસ્લિમોની વસ્તી વિશે તેમણે કહ્યું હતું કે ‘હિન્દુઓ ૪૦ વર્ષની ઉંમર પછી માતા-પિતા મજબૂર કરે એટલે એક મૅરેજ કરી લે છે. ૪૦ વર્ષ પછી તેઓ બાળકને જન્મ આપી શકે એવી આશા કેવી રીતે રાખી શકાય? તો પછી કેવી રીતે હિન્દુઓનાં બાળકો વધે? ફર્ટાઇલ જમીન પર તમે માટી અને દવા નાખો તો ત્યાંથી ખૂબ અનાજ ઊગી નીકળે, ખેતી સારી થશે, ખૂબ પ્રગતિ થશે. હિન્દુઓએ પણ મુસ્લિમો જેવી આ ફૉર્મ્યુલા અપનાવવી જોઈએ. તેમણે પોતાનાં સંતાનોનાં નાની ઉંમરે મૅરેજ કરાવવાં જોઈએ. એ પછી જુઓ કે હિન્દુઓનાં પણ કેટલાં બાળકો જન્મે છે. જોકે બે નંબરના ધંધા બંધ કરો.’ વિવાદ થતાં અજમલે માફી માગી હતી.