ગૃહપ્રધાન શિંદેએ ત્રાસવાદી હાફિઝ સઈદના નામ આગળ શ્રી લગાવતા વિવાદ
ભારતના પ્રવાસે આવેલા પાકિસ્તાનના ગૃહપ્રધાન રહેમાન મલિકનાં નિવેદનોને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદના સંદર્ભમાં ગઈ કાલે સંસદમાં સરકારનો પક્ષ રજૂ કરતી વખતે ભારતના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ પણ બિનજરૂરી બફાટ કરીને વિવાદ ઊભો કર્યો હતો. રાજ્યસભામાં નિવેદન આપી રહેલા શિંદેએ વારંવાર મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ એવા મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદને શ્રી કહીને સંબોધતા હતા. એટલું જ નહીં, તેમણે એકથી વધુ વખત આ આતંકવાદી નેતાને મિસ્ટર સઈદ કહીને સંબોધતાં વિપક્ષના સભ્યોમાં નારાજગી ફેલાઈ હતી.
રાજ્યસભામાં ગૃહપ્રધાન એવું કહી રહ્યા હતા કે હાફિઝ સઈદને મુદ્દે પાકિસ્તાનના ગૃહપ્રધાન રહેમાન મલિક ભારતને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મલિકે શનિવારે એવું કહ્યું હતું કે ભારતે હાફિદ સઈદ વિરુદ્ધ નક્કર પુરાવા આપ્યા નહીં હોવાથી તેની સામે પગલાં લઈ શકાય નહીં. મલિકે એમ પણ કહ્યું હતું કે ભારત સરકારે સઈદ વિરુદ્ધ માત્ર માહિતી આપી છે, નક્કર પુરાવા નહીં. પાકિસ્તાની ગૃહપ્રધાને એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે ભારત મજબૂત પુરાવા આપશે ત્યારે તત્કાળ સઈદની ધરપકડ કરવામાં આવશે.
પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવાની ડિમાન્ડ
આ તરફ લોકસભામાં પણ બીજેપીના નેતા યશવંત સિંહાએ રહેમાન મલિકનાં નિવેદનો અને સરકારના નરમ વલણનો જોરદાર વિરોધ કર્યો હતો. યશવંત સિંહાએ ૨૫ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ભારત-પાકિસ્તાન ક્રિકેટ સિરીઝ પણ રદ કરવાની માગણી કરી હતી. સિંહાએ કહ્યું હતું કે મલિકનાં નિવેદનો સામે સરકારે કડક વિરોધ નોંધાવવો જોઈતો હતો, પણ સરકારે એવું કશું કર્યું નહીં. રહેમાન મલિકે ભારતીય પત્રકારો સાથે વાત કરતાં મુંબઈ હુમલાની બાબરી મસ્જિદ ધ્વંસ સાથે તુલના કરી હતી.