Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સીતાની નગરીથી રામનગરી માટે લાવવામાં આવી રહ્યા છે ખાસ પથ્થર

સીતાની નગરીથી રામનગરી માટે લાવવામાં આવી રહ્યા છે ખાસ પથ્થર

30 January, 2023 12:34 PM IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેપાલથી આ શાલિગ્રામ પથ્થર ભારત લવાઈ રહ્યા છે, જેમાંથી રામલલ્લાના બાળસ્વરૂપની મૂર્તિ બનાવવામાં આવશે

રામ મંદિર ફાઇલ તસવીર

રામ મંદિર ફાઇલ તસવીર


અયોધ્યા : અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ મંદિરમાં રામલલ્લાના બાળસ્વરૂપની મૂર્તિ જે પથ્થરમાંથી બનાવવામાં આવશે એ કોઈ સામાન્ય પથ્થર નથી, બલકે એનું ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ છે. નેપાલના મ્યાગ્દી જિલ્લાના બેનીથી આ પવિત્ર પથ્થર અયોધ્યા લવાઈ રહ્યા છે. પથ્થરને લાવતાં પહેલાં મ્યાગ્દીમાં શાસ્ત્રો મુજબ પૂજા કરવામાં આવી હતી. એ પછી જિયોલૉજિકલ અને આર્કિયોલૉજિકલ એક્સપર્ટ્સની દેખરેખમાં પથ્થર ખોદીને બહાર કાઢવામાં આવ્યા હતા. એ પથ્થરોને એક મોટી ટ્રકમાં રાજકીય સન્માન સાથે લવાઈ રહ્યા છે. જ્યાંથી આ શિલા-યાત્રા પસાર થાય છે ત્યાંના સમગ્ર માર્ગ પર શ્રદ્ધાળુઓ એનાં દર્શન અને પૂજા કરે છે.

લગભગ ૭ મહિના પહેલાં નેપાલના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન બિમલેન્દ્ર નિધિએ શ્રીરામ મંદિરના નિર્માણ ટ્રસ્ટ સમક્ષ આ પથ્થર મોકલવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. બિમલેન્દ્ર સીતાની નગરી જનકપુર ધામના સંસદસભ્ય છે. તેમણે શ્રીરામ મંદિર નિર્માણ ટ્રસ્ટ સમક્ષ આ ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણમાં નેપાલ, ખાસ કરીને જનકપુર ધામના યોગદાન માટે આ પ્રસ્તાવ મૂક્યો હતો. નેપાલ સરકારે કૅબિનેટ મીટિંગમાં કાલી ગંડકી નદીના કિનારાના શાલિગ્રામ પથ્થરોને અયોધ્યા મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એ પછી આ પ્રકારના પથ્થર શોધવા માટે નેપાલ સરકારે જિયોલૉજિકલ અને આર્કિયોલૉજિકલ એક્સપર્ટ્સની ટીમ બનાવી હતી. 



આ પણ વાંચો : ૨૦૨૪ની પહેલી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિરને ખુલ્લું મુકાશે


શ્રીરામ મંદિર માટે જે પથ્થરને મોકલવામાં આવી રહ્યા છે એ સાડાછ કરોડ વર્ષ જૂના છે, એટલું જ નહીં, આ પથ્થર હજી એક લાખ વર્ષ સુધી ટકી રહેશે.  જે કાલી ગંડકી નદીના કિનારાથી આ પથ્થર મેળવવામાં આવ્યા છે એ નેપાલની પવિત્ર નદી છે. એ દામોદર કુંડથી નીકળીને ભારતમાં ગંગા નદીને મળે છે. આ નદીકિનારે શાલિગ્રામ પથ્થર મળે છે, એટલું જ નહીં, ભગવાન વિષ્ણુ સ્વરૂપે પણ શાલિગ્રામ પથ્થરની પૂજા કરવામાં આવી છે. આ જ કારણથી એને દેવશિલા પણ કહેવામાં આવે છે. 

પથ્થરનું વજન અને કદ


એક પથ્થરનું વજન ૨૬ ટન અને બીજા પથ્થરનું વજન ૧૪ ટન છે. આ પથ્થર અંદાજે ૭ ફુટ લાંબા અને પાંચ ફુટ પહોળા છે. મૂર્તિકારો હવે આ શાલિગ્રામ શિલાઓને ટૂંક સમયમાં ભગવાન શ્રીરામની મૂર્તિનો આકાર આપશે.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2023 12:34 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK