ડોમિનિકા દેશે હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોકસીની વિરુદ્ધ ગેરકાયદે પ્રવેશના આરોપોને પડતા મૂક્યા હતા.
મેહુલ ચોકસી
નવી દિલ્હી : ડોમિનિકા દેશે હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોકસીની વિરુદ્ધ ગેરકાયદે પ્રવેશના આરોપોને પડતા મૂક્યા હતા. ચોકસી ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડ કેસમાં ભારતમાં વૉન્ટેડ છે.
કોર્ટ ડિસ્ટ્રિક્ટ ‘ઇ’ના મેજિસ્ટ્રેટને સંબોધીને ૧૭ મેએ લખવામાં આવેલા એક લેટરમાં ડોમિનિકાના ડિરેક્ટર ઑફ પબ્લિક પ્રોસિક્યુશન્સે લખ્યું હતું કે ૨૪ મે, ૨૦૨૧ના રોજ દેશમાં ગેરકાયદે પ્રવેશવા બદલ ચોકસી વિરુદ્ધની કાર્યવાહીને બંધ કરી દેવામાં આવી છે. ચોકસીનું નામ પીએનબી કૌભાંડમાં આવતા જ ચોકસી ભારતમાંથી ભાગી ગયા બાદ તેઓ એન્ટિગુઆ અને બર્બુડામાં રહેતા હતા.
ચોકસીએ ૨૦૧૭માં એન્ટિગાની સિટિઝનશિપ મેળવી હતી, પરંતુ આ દેશની સરકારે એને પડકારી હતી. જેના કારણે એ મામલો અદાલતમાં પહોંચ્યો હતો.
મે ૨૦૨૧માં રહસ્યમય સંજોગોમાં એન્ટિગામાંથી ગાયબ થયા બાદ તેમની ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર ગેરકાયદે પ્રવેશનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ચોકસીએ એ સમયે ‘ઇન્ડિયન એજન્ટ્સ’પર અપહરણ અને બળપૂર્વક તેમને ડોમિનિકા લઈ જવાનો આરોપ મૂક્યો હતો.
પીએનબી કૌભાંડમાં સહ-આરોપી નિરવ મોદી અત્યારે યુકેની જેલમાં છે. ભારત સરકાર મોદી અને ચોકસી બન્નેને દેશમાં પાછા લાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે.