પાંચ દિવસમાં ૧૭૦૦થી વધુ લોકો થયા સંક્રમિત, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાના પ્રોટોકોલનું સદંતર ઉલ્લંઘન થયું
બુધવારે મેષ સંક્રાન્તિના રોજ હરિદ્વારના કુંભમેળામાં ભેગા થયેલા શ્રદ્ધાળુઓ. પી.ટી.આઇ.
હરિદ્વારના કુંભમેળામાં ૧૦થી ૧૪ એપ્રિલ દરમ્યાનના પાંચ દિવસમાં કુલ ૧૭૦૧ લોકો કોરોના વાઇરસ સંક્રમિત થતાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક તહેવાર કોરોના વાઇરસનો સુપરસ્પ્રેડર બનવાની સંભાવના સાથે કુંભમેળાના આગામી દિવસોમાં આ રોગ વધુ ઝડપથી પ્રસરે એવી શક્યતા જણાઈ રહી છે. હરિદ્વારથી પ્રયાગરાજ અને હૃષીકેશ સુધી વિસ્તરેલી ૬૭૦ હેક્ટર જમીનમાં પ્રસરેલા મેળાક્ષેત્રમાં તમામ ભક્તો અને વિવિધ અખાડામાં આરટી-પીસીઆર તેમ જ રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવી હોવાનું હરિદ્વારના ચીફ મેડિકલ ઑફિસર શંભુ કુમાર ઝાએ ગઈ કાલે જણાવ્યું હતું.
કુંભમેળાના ક્ષેત્રમાં કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા ૨૦૦૦ કરતાં વધુ રહેવાની શક્યતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. શાહી સ્નાન (૧૨ એપ્રિલ) અને સોમવતી અમાસ તથા મેષ સંક્રાન્તિ (૧૪ એપ્રિલ)એ લગભગ ૪૮.૫૧ લાખ લોકોએ બે પવિત્ર સ્નાનનો લાભ લીધો હતો, જે દરમ્યાન પોલીસના ભરપૂર પ્રયાસ છતાં માસ્ક ન પહેરવા સહિતના સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાના કોવિડ-19 પ્રોટોકોલનું સદંતર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.