દરિયા કિનારે રહેતા લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દેવાનો આદેશ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર
પુર્વના દરિયા કિનારા પર ‘યાસ વાવાઝોડા’ (Yaas Cyclone)નો ખતરો મંડરાઈ રહ્યો છે. આ જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે એટલે કે રવિવારે અધિકારીઓ અને મંત્રીઓ સાથે હાઈ લેવલની મીટિંગનું આયોજન કર્યું હતું અને તેમા અનેક મહત્વના નિર્ણય લીધા હતા. આ બેઠકમાં દરિયા કિનારે રહેતા લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલી બેઠકમાં નરેન્દ્ર મોદીએ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, દરિયા કિનારે રહેતા લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દેવા અને વીજળી અને ટેલિફોન નેટવર્ક પરના કાપમાં ઘટાડો કરવામાં આવે તેમ પણ કહેવામાં આવ્યું છે. સાથે જ અધિકારીઓને એવા દિશાનિર્દેશો તૈયાર કરવાનું જણાવ્યું છે કે જેમાં વાવાઝોડા દરમિયાન લોકોએ શું કરવું અને શું ન કરવું તે બાબતોનો ઉલ્લેખ હોય. આ તમામ દિશાનિર્દેશો સ્થાનિક ભાષામાં બહાર પાડવાનો અધિકારીઓને આદેશ છે.
ADVERTISEMENT
સમીક્ષા બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ (National Disaster Response Force)એ વાવાઝોડા યાસને પહોંચી વળવા ૪૬ ટીમોને પહેલેથી તૈયાર રાખી છે. ૧૩ ટીમો આજે હવાઈ માર્ગેથી સંભવિત પ્રભાવિત વિસ્તારમાં રવાના થઈ રહી છે. ગૃહ મંત્રાલય પણ ૨૪ કલાક સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યું છે. મંત્રાલય સતત સંબંધિત રાજ્ય સરકારો તથા કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છે. તેમજ ભારતીય કોસ્ડ ગાર્ડ અને નેવીએ પણ રાહત કાર્ય માટે, શોધ કરવા માટે અને બચાવ અભિયયાન માટે જહાજો, હેલિકોપ્ટરોને તહેનાત કર્યાં છે.
તદઉપરાંત, અગમચેતીના ભાગરુપે ઉત્તર રેલવેએ ઓડિશાના ભુવનેશ્વર અને પુરીથી જતી આવતી લગભગ એક ડઝન જેટલી ટ્રેનો હંગામી ધોરણે રદ કરી છે. તેમજ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને ઓડિશાના મુખ્યા પ્રધાન નવીન પટનાયકે પરિસ્થિતિની સમીક્ષા કરીને અધિકારીઓને જરુરી આદેશ આપ્યા છે.