છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૬૨,૨૨૪ નવા કેસ નોંધાતાં દેશમાં કોવિડ સંક્રમિતોનો આંકડો ૨,૯૬,૩૩,૧૦૫ પર પહોંચ્યો છે, જે કુલ ૪૭,૯૪૬ કેસનો ઘટાડો સૂચવે છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૬૨,૨૨૪ નવા કેસ નોંધાતાં દેશમાં કોવિડ સંક્રમિતોનો આંકડો ૨,૯૬,૩૩,૧૦૫ પર પહોંચ્યો છે, જે કુલ ૪૭,૯૪૬ કેસનો ઘટાડો સૂચવે છે. ઍક્ટિવ કેસનો આંક લગભગ ૭૦ દિવસે નવ લાખની નીચે નોંધાયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું. આના પરથી દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી ઘટી રહી હોવાનું જણાય છે.
છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૨૫૪૨ મૃત્યુ સાથે કુલ મરણાંક ૩,૭૯,૫૭૩ થયો હોવાનું સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલી વિગતોમાં જણાવાયું હતું.
દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ઘટવા સાથે કોવિડના ઍક્ટિવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગઈ કાલે દેશમાં કુલ ઍક્ટિવ કોવિડ કેસનો ૮,૬૫,૪૩૨નો આંક હતો, જે કુલ કેસલોડના ૨.૯૨ ટકા છે. દેશનો રિકવરી રેટ પણ ૯૮.૫૦ ટકા રહ્યો છે.