ફરી એકવાર ભારતમાં નોંધાયા ચોવીસ કલાકમાં ૩.૫૦ લાખ કરતા વધુ કેસ
અત્યાર સુધી ભારતમાં ૧૫,૮૯,૩૨,૯૨૧ લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી (ફાઈલ તસવીર)
ભારતમાં કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ રહી છે. દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દુનિયાના બીજા દેશોને પણ ભારત પાછળ પાડી દે છે.
મંગળવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના ૩,૫૭,૨૨૯ નવા કેસ નોંધાયા છે. તેમજ ૩,૪૪૯ લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે. તે સિવાય છેલ્લા ચોવીસ કલાકમાં ૩,૨૦,૨૮૯ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૦૨,૮૨,૮૩૩ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧,૬૬,૧૩,૨૯૨ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે અને કુલ ૨,૨૨,૪૦૮ લોકોના મોત થયા છે. અત્યારે દેશમાં ૩૪,૪૭,૧૩૩ એક્ટિવ કેસ છે. તે સિવાય ભારતમાં ૧૫,૮૯,૩૨,૯૨૧ લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી છે.
ADVERTISEMENT
રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે સોમવારે કોરોનાના ૧૮,૦૪૩ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૨૦,૨૯૩ લોકો સાજા થયા હતા અને ૪૪૮ લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ દિલ્હીમાં અત્યારસુધીમાં ૧૨,૧૨,૯૮૯ લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી ૧૧,૦૫,૯૮૩ લોકો સાજા થયા છે અને કુલ ૧૭,૪૧૪ દર્દી મૃત્યુ પામ્યા છે. હાલ ૮૯,૫૯૨ એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે સોમવારે કોરોનાના ૪૮,૬૨૧ નવા કેસ નોંધાયા હતા. તેમજ ૫૯,૫૦૦ લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે અને ૫૬૭ લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૪૭,૭૧,૦૨૨ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમાંથી કુલ ૪૦,૪૧,૧૫૮ લાખ લોકો સાજા થયા છે અને કુલ ૭૦,૮૫૧ લોકોનાં મોત થયા છે. જ્યારે રાજ્યમાં અત્યારે ૬,૫૯,૦૧૩ એક્ટિવ કેસ છે.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે સોમવારે કોરોનાના ૧૨,૮૨૦ કેસ નોંધાયા હતા. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં ૧૧,૯૯૯ લોકો સાજા થયા હતા અને ૧૪૦ લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં ૬,૦૭,૪૨૨ લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમાંથી કુલ ૪,૫૨,૨૭૫ લોકો સાજા થયા છે અને ૭,૬૪૮ દર્દીઓના મોત થયા છે. હાલ રાજ્યમાં ૧,૪૭,૪૯૯ એક્ટિવ કેસ છે.