તમે રાજ્યમાં બીજેપીને વિજય અપાવી દીદી પર રાજકીય રીતે કાયમને માટે પ્રતિબંધ મૂકી દો.
ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ ગઈ કાલે કલકત્તામાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને અંજલિ આપી હતી. પી.ટી.આઇ.
કટવા (પશ્ચિમ બંગાળ) ઃ (પી.ટી.આઇ.) પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીના હજી અડધા ભાગ જેટલા તબક્કા થયા છે અને એ સ્થિતિમાં ભારતીય જનતા પક્ષ (બીજેપી)એ આ વખતની ચૂંટણી જીતવા બરાબરની કમર કસી છે. બીજેપીના પ્રમુખ જે. પી. નડ્ડાએ ગઈ કાલે અહીં એક રૅલીને સંબોધતાં કહ્યું હતું કે તમે રાજ્યમાં બીજેપીને વિજય અપાવી દીદી પર રાજકીય રીતે કાયમને માટે પ્રતિબંધ મૂકી દો.
તૃણમૂલ કૉન્ગ્રેસનાં સર્વેસર્વા મમતા બૅનરજી પર તાજેતરમાં ચૂંટણીપંચે પ્રચાર કરવા પર ૨૪ કલાકનો પ્રતિબંધ મૂક્યો હતો જેના વિરોધમાં મમતાએ ધરણાં કર્યાં હતાં. નડ્ડાએ એ બાબતના અનુસંધાનમાં ઉપરોક્ત પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ચૂંટણીપંચે તેમના પર ૨૪ કલાકનો બૅન મૂક્યો હતો, પણ તમે રાજકીય ક્ષેત્રે દીદી પર કાયમને માટે ચોકડી મૂકી દો.’
ગઈ કાલે બાબાસાહેબ આંબેડકરની જયંતીનો અવસર હતો અને એ નિમિત્તે નડ્ડાએ તેમને યાદ કરીને પ્રજાજનોને સંબોધતાં કહ્યું હતું કે ‘ટીએમસીના એક ઉમેદવારે તાજેતરમાં અનુસૂચિત જાતિના લોકો તેમ જ ખાસ કરીને દલિતો સામે અભદ્ર ટિપ્પણી કરી હતી અને આ જ બતાવી આપે છે કે ટીએમસીનો દલિત-વિરોધી અસલી ચહેરો આ જ છે.’