વડા પ્રધાને ટ્રિપલ તલાક, મહિલા સુરક્ષા, કોરોનાકાળમાં પ્રવાસીઓની મદદ સહિત તમામ મુદાઓ પર પોતાની વાત રજૂ કરી હતી.
માનવાધિકારના નામે દેશની છબિ ખરાબ કરવાનો પ્રયાસ : મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (એનએચઆરસી)ના ૨૮મા સ્થાપના દિવસે પોતાના સંબોધનમાં કોઈનું પણ નામ લીધા વગર વિરોધીઓને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે માનવાધિકારના નામે કેટલાક લોકો દેશની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. વડા પ્રધાને ટ્રિપલ તલાક, મહિલા સુરક્ષા, કોરોનાકાળમાં પ્રવાસીઓની મદદ સહિત તમામ મુદાઓ પર પોતાની વાત રજૂ કરી હતી.
તેમણે કહ્યું હતું કે ‘એક જ પ્રકારની ઘટનામાં કેટલાક લોકોને માનવાધિકારનો ભંગ દેખાય છે. તો એવી જ બીજી ઘટનામાં માનવાધિકારનો ભંગ દેખાતો નથી. આ પ્રકારનું વર્તન લોકતંત્ર માટે નુકસાનકારક છે. માનવાધિકારનો સૌથી વધુ ભંગ ત્યારે થાય છે જ્યારે એને રાજકીય રૂપે જોવામાં આવે છે.’