મમતા બૅનરજી ભતીજા કલ્યાણ યોજનામાં વ્યસ્ત: શાહ
ગઈ કાલે દિલ્હીથી વિડિયો કૉન્ફરન્સ દ્વારા પશ્ચિમ બંગાળમાં આયોજિત સભાને સંબોધતા અમિત શાહ. (તસવીર: પી.ટી.આઈ)
કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન અને બીજેપીના નેતા અમિત શાહે ગઈ કાલે પશ્ચિમ બંગાળના દુમુરજલાના લોકોની જાહેરસભાને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધતાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ અને ખાસ કરીને મમતા બૅનરજીના શાસનમાં સગાંવાદ અને ભ્રષ્ટાચાર બેફામ ફેલાયા હોવાનું જણાવ્યું હતું. અમિત શાહે મમતા બૅનરજી તેમના ભત્રીજાને સ્થાનિક રાજકારણમાં આગળ વધારવા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.
અમિત શાહે જણાવ્યું હતું કે ‘મોદી સરકાર જનકલ્યાણની યોજનાઓ ઘડે છે અને પશ્ચિમ બંગાળની મમતા સરકાર ભતીજા કલ્યાણમાં વ્યસ્ત છે. તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાઓ બીજેપીમાં શા માટે જોડાય છે, તેનો વિચાર તેમણે કરવો જોઈએ. તૃણમૂલ કૉન્ગ્રેસ મા-માટી, માનુસ એટલે કે માતૃભૂમિ અને માનવતાની વાતો કરે છે, પરંતુ તેઓ વાસ્તવમાં ભ્રષ્ટાચાર, ખંડણીબાજી અને ખુશામતમાં વ્યસ્ત રહે છે.’