તોડફોડ કરનારાઓના મોબાઇલમાંથી કોચિંગ સેન્ટર્સના વૉટ્સઍપ મેસેજિસ અને વિડિયો ફુટેજ મળી આવ્યાં છે, એટલે જ કોચિંગ સેન્ટર્સની ભૂમિકાની તપાસ થઈ રહી છે
ફાઇલ તસવીર
અગ્નિપથ ભરતી યોજનાની વિરુદ્ધ આંદોલન કરવા માટે કોચિંગ સેન્ટર્સે યુવાનોને ઉશ્કેર્યા હોવાનો ઍન્ગલ બહાર આવ્યો છે. બિહાર પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે રાજ્યમાં આ યોજનાની વિરુદ્ધ હિંસક દેખાવો માટે ઉશ્કેરણીમાં કોચિંગ સેન્ટર્સની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના સંગઠન ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશને ગઈ કાલે ૨૪ કલાકના બિહાર બંધનું એલાન કર્યું હતું.
પટનાના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ ચન્દ્રશેખર સિંહે કહ્યું હતું કે દાનાપુર રેલવે સ્ટેશન ખાતે તોડફોડ બદલ ૧૭૦ લોકોની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે જેમાંથી ૪૬ જણની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ચન્દ્રશેખર સિંહે કહ્યું હતું કે ‘દાનાપુર રેલવે સ્ટેશન ખાતે તોડફોડ બદલ જેમની ધરપકડ કરવામાં આવી છે તેમના મોબાઇલમાંથી કેટલાંક કોચિંગ સેન્ટર્સના વૉટ્સઍપ મેસેજિસ અને વિડિયો ફુટેજ મળી આવ્યાં છે. અમે એના આધારે કોચિંગ સેન્ટર્સની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ. જો કોચિંગ સેન્ટર્સની સંડોવણી હોવાનું પુરવાર થશે તો તેમની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.’
બિહારના ૧૨ જિલ્લા-કૈમેર, ભોજપુર, ઔરંગાબાદ, રોહતાસ, બક્સર, નવાડા, પશ્ચિમ ચંપારણ, સમસ્તિપુર, લખીસરાઈ, બેગુસરાઈ, વૈશાલી અને સારણમાં ઇન્ટરનેટ સર્વિસને ટેમ્પરરી રદ કરવામાં આવી છે.
એકલા બિહારમાં જ વિરોધ-પ્રદર્શનના કારણે ૨૦૦ કરોડનું નુકસાન
બિહારમાં વિરોધ-પ્રદર્શનના સળંગ ચોથા દિવસે પથ્થરમારામાં અનેક પોલીસને ઈજા થઈ હતી. અહીં એક રેલવે સ્ટેશન અને પોલીસના એક વાહનને આગ લગાડવામાં આવી હતી. પટના જિલ્લાના મસૌઢી સબ ડિવિઝનમાં તારેગના રેલવે સ્ટેશનને પ્રદર્શનકર્તાઓએ આગ લગાડી હતી અને રેલવે પોલીસની એક જીપને પણ સળગાવી હતી. પ્રદર્શનકર્તાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ સાથેની તેમની અથડામણનું કવરેજ કરી રહેલા પત્રકારોને માર્યા પણ હતા. બિહારમાં વિરોધ-પ્રદર્શન કરનારાઓએ સૌથી વધુ રેલવે અને બસોને નુકસાન પહોંચાડ્યું છે. એકલા આ રાજ્યમાં જ ૨૦૦ કરોડ રૂપિયાની મિલકત નષ્ટ થઈ ગઈ છે. ૧૦ એન્જિન અને ૬૦ કોચ સંપૂર્ણપણે આગમાં ખાખ થઈ ગયાં છે. દાનાપુર રેલવે ડિવિઝનના ડિવિઝનલ મૅનેજર પ્રભાત કુમારે જણાવ્યું હતું કે પ્લૅટફૉર્મ્સ, કમ્પ્યુટર સિસ્ટમ્સ અને અન્ય ટેક્નિકલ ઇક્વિપમેન્ટ્સને પણ નુકસાન થયું છે.