સરકાર સંચાલિત એરલાઇન્સ એર ઈન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે.
પ્રતીકાત્મક તસવીર
સરકાર સંચાલિત એરલાઇન્સ એર ઈન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે. સરકાર દ્વારા સંચાલિત એરલાઇન્સ એર ઈન્ડિયા જે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, દેશના જુદા જુદા ભાગોમાં તેની વ્યાપારી અને રહેણાંક સંપત્તિ વેચીને રૂપિયા 200-300 કરોડ એકત્ર કરવા વિચારી રહી છે. એર ઇન્ડિયાએ તેના ફ્લેટ્સ અને પ્લોટ સહિતની મિલકતો માટે બોલી મંગાવી છે.
સુત્રો અનુસાર એર ઇન્ડિયાએ એમએસટીસી દ્વારા ઇ-ઓક્શનની બિડને દેશભરમાં તેની સંપત્તિ વેચવા માટે આમંત્રણ આપ્યું છે. મુંબઇમાં રહેણાંક પ્લોટ અને એક ફ્લેટ, નવી દિલ્હીમાં પાંચ ફ્લેટ, બેંગ્લોરમાં રહેણાંક પ્લોટ અને કોલકાતામાં ચાર ફ્લેટ એવી મિલકતોમાં શામેલ છે જે વેચાણ માટે મુકવામાં આવી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ આ વેચાણમાં ઓરંગાબાદમાં બુકિંગ ઓફિસ અને સ્ટાફ ક્વાર્ટર્સ, ભુજમાં એરલાઇન્સ હાઉસ સાથેનો રહેણાંક પ્લોટ, નાસિકમાં છ ફ્લેટ, નાગપુરમાં ઓફિસ બુકિંગ અને તિરુવનંતપુરમમાં નિવાસી પ્લોટ અને મેંગલોરમાં બે ફ્લેટ પણ વેચવા કાઢ્યા છે.
આ સંદર્ભમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, `અમે અપેક્ષા રાખીએ છીએ કે એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ (એઆઇએએચએલ) આ સંપત્તિઓની હરાજીથી આશરે 200 થી 300 કરોડ રૂપિયા મળશે. બિડ્સ 8 મી જુલાઈએ ખુલશે અને 9 જુલાઈના રોજ બંધ થશે.
નોંધનીય છે કે સરકાર ખોટમાં ચાલતી એર ઈન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટેના રોડમેપને અંતિમ રૂપ આપવાની તૈયારીમાં છે. એઆઇએએચએલ એર ઇન્ડિયા ગ્રુપની નોન-કોર એસેટ્સ રાખવા માટે વિશેષ હેતુની મિકેનિઝમની રચના કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે હાલમાં એર ઇન્ડિયા પર 90 હજાર કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. ડીઆઈપીએએમ દ્વારા એર ઇન્ડિયા માટે રસ દર્શાવતા દસ્તાવેજમાં 31 માર્ચ, 2019 સુધીમાં એર ઇન્ડિયા પરનું કુલ દેવું 60,074 કરોડ રૂપિયા હોવાનું જણાવ્યું હતું.