૧૬ મેથી ૩૧ મે વચ્ચેના સમયગાળામાં (૧૬ દિવસમાં) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઍન્ટિ-કોવિડ વૅક્સિન્સ કોવિશીલ્ડ અને કોવૅક્સિનના વધુ ૧૯૨ લાખ ડોઝ (વિનામૂલ્ય) આપવા-પહોંચાડવામાં આવશે એવું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
૧૬ મેથી ૩૧ મે વચ્ચેના સમયગાળામાં (૧૬ દિવસમાં) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઍન્ટિ-કોવિડ વૅક્સિન્સ કોવિશીલ્ડ અને કોવૅક્સિનના વધુ ૧૯૨ લાખ ડોઝ (વિનામૂલ્ય) આપવા-પહોંચાડવામાં આવશે એવું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પુરવઠો, ફાળવણી, વિતરણ અને રવાનગીના કાર્યક્રમની આગોતરી જાણ કરવામાં આવશે. કુલ ૧૯૧.૯૯ લાખ ડોઝમાં કોવિશીલ્ડના ૧૬૨.૫ લાખ અને કોવૅક્સિનના ૨૯.૪૯ લાખ વાયલ્સ છે.
આગામી પખવાડિયામાં જે વૅક્સિન્સનો પુરવઠો આપવામાં આવશે એનું વિતરણ સમતોલ અને વ્યવહારુ રીતે કરવામાં આવે અને વેડફાટ ન થાય એ રીતે કરવાનું આયોજન કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે કર્યું છે. આ જથ્થો ૪૫ વર્ષથી વધારે ઉંમરના નાગરિકો અને ફ્રન્ટલાઇન વર્કર્સના વૅક્સિનેશન માટે મોકલાશે. અગાઉ ૧ મેથી ૧૫ મે વચ્ચે ૧.૭ કરોડ વૅક્સિન ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મે મહિના દરમ્યાન રાજ્ય સરકારો અને પ્રાઇવેટ હૉસ્પિટલોને ડાયરેક્ટ પ્રોક્યૉરમેન્ટ માટે ૪.૩૯ લાખ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.