પશ્ચિમ રેલવેએ શુક્રવાર ૧૪ જાન્યુઆરીથી ૧૧૮ સ્પેશ્યલ અને મેઇલ તથા એક્સપ્રેસ ટ્રેનો માટેની મન્થ્લી સીઝન ટિકિટ (એમએસટી) પુનર્સ્થાપિત કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી
ફાઈલ તસવીર
પશ્ચિમ રેલવેએ શુક્રવાર ૧૪ જાન્યુઆરીથી ૧૧૮ સ્પેશ્યલ અને મેઇલ તથા એક્સપ્રેસ ટ્રેનો માટેની મન્થ્લી સીઝન ટિકિટ (એમએસટી) પુનર્સ્થાપિત કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી.
સંબંધિત સ્થાનિક રાજ્ય તંત્ર તથા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાને લગતા સમયાંતરે જારી કરવામાં આવતા નિયમોને આધીન રહીને ટિકિટ જારી કરવામાં આવશે અને ટ્રેનોમાં તથા રેલવે સ્ટેશનો પર એસઓપીનું પાલન કરવામાં આવશે, એમ વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે જણાવ્યું હતું. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન અને એ પછીની જગ્યાઓમાં એવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જે વસઈ-દિવા, વસઈ-પનવેલ, બોરીવલી-વલસાડ, દિવા-વેરાવળ, બોઇસર-વસઈ, બાંદરા-વાપી, બાંદરા-વલસાડ, મુંબઈ સેન્ટ્રલ-સુરત વચ્ચે મુસાફરી કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસી સંગઠનોએ આ ટ્રેનો પર સીઝન ટિકિટની માગણી કરી છે, કારણ કે ઘણા નાના વ્યવસાય ઑપરેટરો, વર્કર્સ અને અન્ય મુસાફરોએ રોજ વિવિધ સ્થળોએ મુસાફરી ખેડવી પડે છે અને વેસ્ટર્ન રેલવે, સેન્ટ્રલ રેલવે મેઇન લાઇન, હાર્બર અને ટ્રાન્સ-હાર્બર લાઇનના ચાર જુદા-જુદા પાસ લેવા શક્ય નહોતા. માન્ય સીઝન ટિકિટ ધરાવતા પૅસેન્જરોને બિનઅનામત કોચમાં જ પ્રવાસ ખેડવાની પરવાનગી મળશે અને માન્ય આરક્ષિત ટિકિટ ધરાવનારા પૅસેન્જરોને જ પરવાનગી હોય એવા આરક્ષિત કોચમાં તેમને પરવાનગી મળશે નહીં.