અર્થતંત્રને ફરી પાટે ચડાવવા લૉકડાઉન ઉઠાવી લેવાની જરૂર છેઃ છગન ભુજબળ
છગન ભુજબળ
અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે લૉકડાઉન ઉઠાવી લેવાની જરૂરિયાત મહારાષ્ટ્રના અન્ન તથા નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે દર્શાવી હતી. નાશિકમાં પત્રકારોને સંબોધતાં ભુજબળે જણાવ્યું હતું કે ‘જ્યાં કોરોના ઇન્ફેક્શનના રોગચાળાની સ્થિતિ નિયંત્રણ બહાર હોય ત્યાં લૉકડાઉન ભલે અમલમાં રહે, પરંતુ જ્યાં કેસ ન હોય કે ઓછા હોય ત્યાં આર્થિક પ્રવૃત્તિ શરૂ કરી શકાય. હવે લૉકડાઉનનો અંત લાવવાનો સમય આવી ગયો છે. રાષ્ટ્ર અને મહારાષ્ટ્રના વિકાસ માટે એ પગલું જરૂરી બને છે. કારણકે લોકો પાસે ખાવાનું નથી અને નોકરીઓ નથી. અર્થતંત્ર ભાંગી પડ્યું છે અને સરકારની મહેસૂલી આવકો પણ અટકી ગઈ છે.’