વિલે પાર્લેમાં ભાડેથી રહેતા નીલ પંડ્યાનાં મહિનાના અંતમાં લગ્ન થવાનાં છે ત્યારે તેની ફિયાન્સે પૉઝિટિવ આવતાં મકાનમાલિકે આપી ઘર ખાલી કરવાની નોટિસ. તેના પર માસ્ક વગર બહાર ફરવાનો આક્ષેપ
વિલે પાર્લે (વેસ્ટ)માં આવેલી અરુણોદય સોેસાયટીમાં નીલ પંડ્યા તેની ફિયાન્સે સાથે રહે છે.
વિલે પાર્લેમાં રહેતા ૩૫ વર્ષના નીલ પંડ્યા અને તેની ફિયાન્સેએ ગયું આખું અઠવાડિયું આ મહિનાના અંતે યોજાનારાં તેમનાં લગ્નનું શૉપિંગ કરવામાં પસાર કર્યું હતું, ત્યાં અચાનક ફિયાન્સેની તબિયત બગડી ગઈ હતી. ૨૫ માર્ચે કપલે ટેસ્ટ કરાવતાં ૨૭ માર્ચે ફિયાન્સેનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. ત્રણ દિવસ પછી નીલના મકાનમાલિકે નોટિસ ફટકારીને તેમને બે મહિનામાં ઘર ખાલી કરવા જણાવ્યું છે.
નીલે કહ્યું કે ‘બીએમસીના અધિકારી બિલ્ડિંગના ગેટ પર કેસ સંદર્ભની નોટિસ મૂકી રહ્યા હતા. હજી તો હું મારી ફિયાન્સી પૉઝિટિવ હોવાના મામલામાં અટવાયેલો હતો ત્યાં વૉચમૅન મારા ઘરે આવ્યો અને બિલ્ડિંગના એક સિનિયર સભ્યને ફોન કરવાની સૂચના મને આપીને ગયો.’
નીલ અને તેની ફિયાન્સી વિલે પાર્લે-વેસ્ટના અરુણોદય બિલ્ડિંગ (જૂનું બિલ્ડિંગ)ના વન-બીએચકેના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લૅટમાં રહે છે. એ એક પરિવારની માલિકીનું બિલ્ડિંગ છે.
પોતાની સાથે થયેલા વર્તન બાબતે નીલે કહ્યું કે બિલ્ડિંગના એક સિનિયર સભ્ય શશી ચૌધરીએ મને જણાવ્યું કે તારે તત્કાળ ફ્લૅટ ખાલી કરવો પડશે. બિલ્ડિંગમાં વયોવૃદ્ધ લોકો રહે છે અને તેઓ પણ વાઇરસના સંપર્કમાં આવી શકે છે. મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે બીએમસીએ મારી ફિયાન્સીની હાલત ગંભીર ન હોવાથી તેને ઘરમાં ક્વૉરન્ટીન થવા જણાવ્યું છે ત્યારે તેમણે મને જણાવ્યું કે હું તારા ફ્લૅટના માલિકને ફરિયાદ કરીશ.
થોડા જ કલાકોમાં નીલના મકાનમાલિકનાં પત્ની સુમન ચૌધરીએ નીલને ફોન કર્યો. ૧ એપ્રિલે નીલને મકાનમાલિક કમલ ચૌધરીની સહી સાથેની નોટિસ મળી, જેમાં તેમણે લાઇસન્સ ઍગ્રીમેન્ટનો અંત આણવાની અને બે મહિનામાં ફ્લૅટ ખાલી કરવાની માગણી કરી હતી.
બીજી તરફ બિલ્ડિંગમાં રહેતા શશી ચૌધરીએ જણાવ્યું કે બિલ્ડિંગ કોઈ સોસાયટી ધરાવતી નથી. આ એક પરિવારની માલિકીની સંપત્તિ છે. અમે ચૌધરીપરિવારના સભ્યો તમામ બાબતો સંભાળીએ છીએ. અમે નીલને મકાન ખાલી કરવા નથી જણાવ્યું, મકાનમાલિકે જણાવ્યું હશે. નીલ સાથે મારે વાત થઈ હતી. તે ઘણો અપસેટ હતો. વન-બીએચકે ફ્લૅટમાં આઇસોલેશન કેવી રીતે થઈ શકે? તેની ફિયાન્સી પૉઝિટિવ આવી એ દિવસે નીલ બિલ્ડિંગના પરિસરમાં માસ્ક વિના ફરતો હતો. એના પરથી શું સમજવું? એમ તેમણે ઉમેર્યું હતું.
મકાનમાલિકનાં પત્ની સુમન ચૌધરીએ જણાવ્યું કે ‘નીલ દરેક વ્યક્તિ સાથે ઝઘડે છે. તેની પાર્ટનર પૉઝિટિવ હોવા છતાં તે બિલ્ડિંગમાં ફરતો હતો. તેણે કહ્યું હતું કે હું પણ આઇસોલેશનમાં રહીશ, પણ તે હજી પણ ઇન્ટરનેટ પ્રોવાઇડર સહિતના લોકોને તેના ઘરે મળવા બોલાવે છે.’
આ સંદર્ભે નીલે સ્પષ્ટતા કરી કે મેં રિપોર્ટ પૉઝિટિવ આવ્યો એ પહેલાં ૨૭ માર્ચે ઇન્ટરનેટ પ્રોવાઇડરને બોલાવ્યો હતો. જોકે સાથે જ તેણે બિલ્ડિંગમાં રહેવાની અનિચ્છા વ્યક્ત કરતાં ટૂંક સમયમાં જ ત્યાંથી જતા રહેવાનું જણાવ્યું હતું.
નીલ સાથે મારે વાત થઈ હતી. તે ઘણો અપસેટ હતો. વન-બીએચકે ફ્લૅટમાં આઇસોલેશન કેવી રીતે થઈ શકે? તેની ફિયાન્સી પૉઝિટિવ આવી એ દિવસે નીલ બિલ્ડિંગના પરિસરમાં માસ્ક વિના ફરતો હતો. આના પરથી શું સમજવું? - શશી ચૌધરી, બિલ્ડિંગના રહેવાસી