હવે સરકારે સ્કૂલ ખૂલવાની જાહેરાત કરી એનાથી તે પણ ખુશ છે. જલદીથી કેમ દિવસો પસાર થાય અને તેના મિત્રો મળે એની તે રાહ જુએ છે. હવે ફુલ ડે સ્કૂલ હોવી જોઈએ તો મજા પડી જાય.’
પહેલી ડિસેમ્બરથી સ્કૂલો શરૂ કરવાના નિર્ણયને વાલી અને બાળકોએ આવકાર્યો
મહારાષ્ટ્ર રાજ્યનાં એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે ગઈ કાલે પહેલા ધોરણથી બારમા ધોરણ સુધીની સ્કૂલો ૧ ડિસેમ્બરથી શરૂ થશે એવી જાહેરાત કરતાં ઑનલાઇન સ્કૂલથી કંટાળેલાં બાળકો અને તેમના પેરન્ટ્સમાં ખુશાલીનું વાતાવરણ છવાઈ ગયું છે.
વર્ષા ગાયકવાડે ૧ ડિસેમ્બરથી સ્કૂલો ખૂલી જશે એવી જાહેરાત કરતાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે તેની કૅબિનેટ મીટિંગમાં સ્કૂલો ફરીથી ઑફલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેએ કૅબિનેટ અને પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સ સાથે ચર્ચાવિચારણા કરીને લીધો હતો. કોવિડ-19 ટાસ્ક ફોર્સ અને હેલ્થ ડિપાર્ટમેન્ટે હવે સ્કૂલ ખોલવી સુરક્ષિત છે એમ જણાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્કૂલ ખૂલવાના સમાચારને ખૂબ પ્રફુલ્લિત થઈને વધાવતાં બોરીવલીની આઠમા ધોરણમાં ભણતી રુચિકા અજિત ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી સ્કૂલ સોમવારે ૨૨ નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. અમને સ્કૂલમાં એક દિવસ છોડીને એક દિવસ બોલાવાય છે. ઘણા લાંબા સમય પછી સ્કૂલમાં ભણવા જવા મળ્યું એનાથી મિત્રો અને ટીચર્સને મળીને મને બહુ મજા આવી. ભણવામાં મન લાગે છે. મારો નાનો ભાઈ સિક્સ્થ સ્ટાન્ડર્ડમાં છે. તે મને દરરોજ કહે છે, ‘દીદી તારી તો સ્કૂલ ચાલુ છે, તને તો બહુ મજા છે. કાશ મારી સ્કૂલ પણ ખૂલે અને મને પણ ભણવાની મજા આવે. બધા દોસ્ત મળે.’ હવે સરકારે સ્કૂલ ખૂલવાની જાહેરાત કરી એનાથી તે પણ ખુશ છે. જલદીથી કેમ દિવસો પસાર થાય અને તેના મિત્રો મળે એની તે રાહ જુએ છે. હવે ફુલ ડે સ્કૂલ હોવી જોઈએ તો મજા પડી જાય.’
સ્કૂલ શરૂ થવાના ન્યુઝ ખરેખર આનંદદાયક છે એમ જણાવતાં મલાડનાં રૂપા દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકોનું ભણતર ઑનલાઇનમાં સાવ ખાડે ગયું છે. પાછું સાધારણ માણસોને તેમનાં બાળકોને ઑનલાઇન ભણાવવા માટે ઘરે જોઈતી સગવડ જેવી કે કમ્પ્યુટર, મોબાઇલ, ઇન્ટરનેટ કનેક્શન, પૂરતી જગ્યા ઇત્યાદિના અભાવે બાળકોને ભણવામાં અનેક મુશ્કેલીઓ નડતી હોય છે. ક્લાસરૂમમાં ટીચર સમક્ષ હાજરીથી બાળકોનું અનુશાસન પણ જળવાઈ રહે છે અને ભણવામાં તેમનું ધ્યાન રહે છે. સ્કૂલ ચાલુ કરતાં પહેલાં વ્યવસ્થિત રીતે સફાઈ કરીને સૅનિટાઇઝ કરીને સ્કૂલો શરૂ કરવી જોઈએ.’
મારું માનવું છે કે સરકારે આ નિર્ણય ઉતાવળે લીધો છે એમ જણાવતાં થાણેનાં હિના ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘વિશ્વના ઘણા દેશોમાં કોરોનાનો પ્રકોપ એક મહિનાથી વધવા લાગ્યો છે. આપણા દેશમાં પણ પ્રકોપ વધી શકે છે એ વાતને નકારી શકાય એમ નથી. જો આ રોગની નાનાં બાળકો પર અસર થશે તો એનાથી બહુ ગંભીર પરિણામ આવી શકે છે, એથી સરકરે આ બાબતે પુનર્વિચાર કરવો જરૂરી છે.’