એનસીપી અને શિવસેના સાથે રહેવાની વાત કરી રહ્યાં છે ત્યારે મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપે ‘દેખતે હૈં કિસમેં કિતના હૈ દમ’નું આહ્વાન આપ્યું
એક કાર્યક્રમમાં સંબોધન કરી રહેલા મુંબઈ કૉન્ગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપ.
ADVERTISEMENT
લોકસભા અને વિધાનસભાની આગામી ચૂંટણી મહાવિકાસ આઘાડીના માધ્યમથી એકસાથે લડવામાં આવશે એમ તાજેતરમાં એનસીપીના ચીફ શરદ પવારે કહ્યું હતું. શિવસેનાએ પણ તેમના સૂરમાં સૂર મિલાવ્યો હતો, પણ મહાવિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે અને મુંબઈ અધ્યક્ષ ભાઈ જગતાપ ‘એકલા ચલો’નો નારો આપી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીને હજી સમય છે, અત્યારથી કંઈ પણ બોલવું યોગ્ય નથી : પ્રફુલ પટેલ
શિવસેના અને કૉન્ગ્રેસે છેલ્લા કેટલાક દિવસથી વિધાનસભાની આગામી ચૂંટણી સ્વબળે અને આઘાડીમાં લડવા માટેની શરૂઆત કરી છે. આ બાબતે એનસીપીના નેતા પ્રફુલ પટેલે શિવસેનાના નેતા સંજય રાઉત અને કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને સલાહ આપતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘ચૂંટણીને હજી ઘણો સમય છે. અત્યારથી જ સાથે લડીશું કે નહીં અથવા મુખ્ય પ્રધાન કોણ હશે એની વાતો કરવાનો કોઈ અર્થ નથી. આગામી વિધાનસભાની ચૂંટણી ૨૦૨૪માં યોજાવાની છે એટલે ૨૦૨૩માં જ આ વિશે ચર્ચા થવી જોઈએ. એ સમયે મહાવિકાસ આઘાડીમાં સંકળાયેલા તમામ પક્ષના વરિષ્ઠ નેતાઓ જે ફૉર્મ્યુલા નક્કી કરશે એને આધારે આગળનો નિર્ણય લેવાશે.’