‘ઔરંગઝેબ છત્રપતિ શિવાજી સાથે અને તેમના અવસાન બાદ મરાઠાઓ સાથે ૨૫ વર્ષ સુધી લડ્યો હતો. તે એક આક્રમણખોર હતો. તેણે મહારાષ્ટ્ર પર ચડાઈ કરી અને અહીંનાં મંદિરો ધ્વસ્ત કર્યાં.’
ફાઈલ તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : શિવસેનાએ ગઈ કાલે જણાવ્યું હતું કે એઆઇએમઆઇએમના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના ખુલ્દાબાદમાં આવેલી ઔરંગઝેબની કબરની લીધેલી મુલાકાત પાછળ રાજ્યનું વાતાવરણ ડહોળવાનો આશય હતો. એ સાથે જ સેનાએ કહ્યું હતું કે ૧૭મી સદીના આ મુગલ શાસકના અનુયાયીઓના હાલ પણ તેના જેવા જ થશે. ઓવૈસીએ ઔરંગાબાદ શહેરમાં સભા સંબોધતાં પહેલાં ઔરંગઝેબની કબરની મુલાકાત લીધી હતી.
શિવસેનાના સંસદસભ્ય અને પક્ષના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે ‘ઔરંગઝેબ છત્રપતિ શિવાજી સાથે અને તેમના અવસાન બાદ મરાઠાઓ સાથે ૨૫ વર્ષ સુધી લડ્યો હતો. તે એક આક્રમણખોર હતો. તેણે મહારાષ્ટ્ર પર ચડાઈ કરી અને અહીંનાં મંદિરો ધ્વસ્ત કર્યાં.’
તેમણે ઉમેર્યું હતું કે ‘ઔરંગઝેબની કબર પર નમાઝ પઢીને ઓવૈસી બંધુઓ (અકબરુદ્દીન અને અસદુદ્દીન) મહારાષ્ટ્રને પડકારી રહ્યા છે. તેઓ મહારાષ્ટ્રનું વાતાવરણ ડહોળવાના ઇરાદા સાથે રાજકારણ રમી રહ્યા છે. અમે આ પડકાર સ્વીકાર્યો છે. અમે ઔરંગઝેબને આ ધરતીમાં દફનાવી દીધો હતો. રાજકારણ રમવા માગતા તેના (ઔરંગઝેબના) અનુયાયીઓના પણ મહારાષ્ટ્રમાં એવા જ હાલ થશે.’