થાણેમાં રખડતા કૂતરાઓનો ત્રાસ
થાણેમાં કૂતરા કરડવાના બનાવોમાં થઈ રહેલા વધારાની સમસ્યા ગંભીરરૂપ ધારણ કરી રહી છે અને બીજી તરફ સુધરાઈ દ્વારા હજી સુધી આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.
ADVERTISEMENT
ઘોડબંદર રોડ પર આવેલી વિજયનગરી ઍનેક્સ અને પાસેની જ પૂજા કૉમ્પ્લેક્સના રહેવાસીઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે તેમના વિસ્તારમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને એને લીધે નાગરિકોની સુરક્ષા સામે પ્રfનાર્થ ઊભો થયો છે. આમ છતાં હજી સુધી સુધરાઈએ કોઈ પગલાં લીધાં નથી. આ બન્ને સોસાયટીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમણે થાણે મહાનગરપાલિકામાં અનેક ફરિયાદો કરી હોવા છતાં સુધરાઈ આંખ આડા કાન કરી રહી છે.
એક રહેવાસીએ કહ્યું હતું કે ‘રખડતા કૂતરાની સમસ્યા વિશે માહિતી આપવા માટે જ્યારે અમે ૨૫૮૩૮૮૮૮ નંબર પર ફોન કર્યા ત્યારે ત્યાં બેઠેલા અધિકારીઓએ એવો જવાબ આપ્યો હતો કે અમારી પાસે તમારી સમસ્યાનું નિરાકરણ કરવા માટે સમય નથી. હવે શું કરવું તેની અમને ખબર પડતી નથી.
વિજયનગરી ઍનેક્સમાં રહેતા યશવંત જિંદામે કહ્યું હતું કે ‘એક જ મહિનામાં મને બે વખત કૂતરો કરડ્યો હતો. અત્યાર સુધીમાં મારે પાંચ ઇન્જેક્શન લેવાં પડ્યાં છે અને એક ઇન્જેક્શનની કિંમત ૩૭૧ રૂપિયા છે. કૂતરાની સમસ્યા પાછળ મારા ૨૦૦૦ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. આર્થિક નુકસાન કરતાં આનાથી મને માનસિક રીતે વધુ નુકસાન થયું છે.
પૂજા કૉમ્પ્લેક્સમાં રહેતી નયના પાટીલે કહ્યું હતું કે ‘અમારી સોસાયટીના કમ્પાઉન્ડમાં જ ૮થી ૧૦ રખડતા કૂતરા છે. આ કૂતરાઓ આખી રાત ભસે છે અને એને કારણે અમને ખાસ્સી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અમારાં બાળકોને ઘરની અંદર જ બંધાઈ રહેવાની ફરજ પડે છે, કેમ કે તેમને બહાર મોકલવાનું જોખમ અમે લઈ શકતા નથી. અમે થાણે મહાનગરપાલિકામાં આ સમસ્યા વિશે ફોન કરીને ફરિયાદ કરી તો તેમણે કૂતરાઓને પકડવા માટે ડૉગ-સ્ક્વૉડ મોકલી હતી. તેઓ બે કૂતરા પકડીને અમારી પાસે બક્ષિસ માગવા આવ્યા હતા. સુધરાઈના કર્મચારીઓ તેમની ફરજ બજાવવા માટે અમારી પાસેથી બક્ષિસ કેવી રીતે માગી શકે?’
કૂતરાઓની વર્તણૂક વિશેનો અભ્યાસ કરનાર નીતિન સુળેએ કહ્યું હતું કે ‘રખડતા કૂતરાઓ ત્યારે જ કરડવા આવે છે જ્યારે તેમને છેડવામાં આવે. નાગરિકો જવાબદારીપૂર્વક વર્તન કરવાનું શરૂ કરશે તો સમસ્યાનું નિરાકરણ સહેલાઈથી આવી જશે. જોકે સુધરાઈનું વર્તન પણ અત્યંત બિનજવાબદાર છે. એણે રખડતા કૂતરાઓના વંધ્યીકરણ પાછળ પૂરતું ધ્યાન આપ્યું નથી. સુધરાઈએ કૂતરાઓના વંધ્યીકરણ વખતે નર કૂતરાનું વંધ્યીકરણ કરવાને બદલે માદા કૂતરાના વંધ્યીકરણ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.’
થાણે મહાનગરપાલિકાના મેડિકલ ઑફિસર ફૉર હેલ્થ ડૉક્ટર આર. ટી. કેન્દ્રેએ કહ્યું હતું કે અમે કૂતરાના વંધ્યીકરણ પર ધ્યાન આપી રહ્યા છીએ અને નિયમિત સમયે કૂતરાનું વંધ્યીકરણ કરવામાં આવે છે. હેલ્પલાઇન પર નાગરિકોને યોગ્ય મદદ મળતી ન હોવાના આરોપ બાબતે તેમણે કહ્યું હતું કે ‘આ ફરિયાદો પ્રત્યે અમે ચોક્કસ ધ્યાન આપીશું, કેમ કે અન્ય વિસ્તારોમાંથી પણ આવી જ ફરિયાદો મળી છે. થાણેમાં રખડતા કૂતરાઓની સમસ્યા એટલા માટે વધારે જોવા મળે છે, કેમ કે એની સરહદો ખુલ્લી છે.’