એનસીપીના પ્રમુખ શરદ પવારે શહેરમાંથી ઍર-કન્ડિશન્ડ લોકલ ટ્રેન-સર્વિસ સંપૂર્ણપણે બંધ કરીને રેગ્યુલર સર્વિસ ફરી શરૂ કરવાની માગણી કરતાં શહેરની એસી લોકલ ટ્રેનો રાજકીય હથિયાર બની છે.
તસવીર: રાજેન્દ્ર બી. અકલેકર
મુંબઈ : એનસીપીના પ્રમુખ શરદ પવારે શહેરમાંથી ઍર-કન્ડિશન્ડ લોકલ ટ્રેન-સર્વિસ સંપૂર્ણપણે બંધ કરીને રેગ્યુલર સર્વિસ ફરી શરૂ કરવાની માગણી કરતાં શહેરની એસી લોકલ ટ્રેનો રાજકીય હથિયાર બની છે.
શરદ પવારે જણાવ્યું હતું કે ‘અમારા નેતા જિતેન્દ્ર આવ્હાડે એસી લોકલ ટ્રેનોનો મુદ્દો ઉઠાવ્યો છે. એસી લોકલ ટ્રેનથી ઑફિસ-ગોઅર્સ અને મધ્યમ વર્ગને અસર થાય છે. ફક્ત એક એસી ટ્રેન- સર્વિસ રદ કરી દેવાથી કશું નહીં વળે. વાસ્તવમાં એનાથી લોકોની મુશ્કેલી વધશે. એસી ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવી જોઈએ અને એના સ્થાને લોકોના લાભાર્થે નૉર્મલ ટ્રેનો શરૂ કરવી જોઈએ.’
કલવા અને બદલાપુરના વિરોધકર્તા પ્રવાસીઓ સામે નમતું જોખીને સેન્ટ્રલ રેલવેએ ગયા અઠવાડિયે તમામ નવી ૧૦ એસી સર્વિસ (જે પાંચ દિવસ પહેલાં શરૂ થઈ હતી) બંધ કરી દીધી હતી. એક દેખાવકારે કહ્યું હતું કે જનતાને એસી લોકલ પોસાતી નથી અને અમારે અમારી રેગ્યુલર સર્વિસ પાછી જોઈએ છે. એ પછી ઘણા રાજકીય પક્ષોના નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મામલામાં જોડાયા હતા. પ્રધાનો સહિત રેલવે અધિકારીઓ સાથે બેઠકો યોજાઈ હતી. સેન્ટ્રલ રેલવેએ કહ્યું હતું કે સમીક્ષા પછી નવી સર્વિસની જાહેરાત કરવામાં આવશે.