ચાર વર્ષ પહેલાં બનેલા આ બનાવમાં કાંદિવલી પોલીસ સ્ટેશને પહેલાં ફરિયાદ નહોતી લીધી, પણ કોર્ટના આદેશ પછી તપાસ શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
મુંબઈ : કાંદિવલીમાં રહેતા એક સિનિયર સિટિઝનનું ૨૦૧૯માં મૃત્યુ થયું હતું. એ પછી પિતાનું મૃત્યુ શંકાજનક લાગતાં દીકરીએ પોલીસ સ્ટેશનનો અપ્રોચ કર્યો હતો. જોકે ત્યાંથી તેને કોઈ સહાય ન મળતાં અંતે તેણે કોર્ટમાં ફરિયાદ કરી હતી. એના આધારે કોર્ટે આશરે ચાર વર્ષ પછી પિતાના મૃત્યુ માટે જવાબદાર ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો પોલીસને આદેશ આપ્યો હતો. અંતે કાંદિવલી પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે કાંદિવલી પોલીસ સ્ટેશનના અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક માહિતી અનુસાર ફૅમિલી ડિસ્પ્યુટ આ ફરિયાદ પાછળનો હેતુ છે.
નવી મુંબઈના વાશીમાં સેક્ટર ૨૯માં રહેતાં ૪૮ વર્ષનાં રીટા ભરત વોરાએ કરેલી ફરિયાદ અનુસાર ૧૨ ઑગસ્ટ ૨૦૧૯ના દિવસે તેઓ ઘરે હતાં ત્યારે તેમને એક સંબંધીનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેના ૬૩ વર્ષના પિતા રમેશ પટેલની તબિયત ખરાબ છે. એ સાંભળીને તેઓ પતિ અને પુત્ર સાથે કાંદિવલીના ઘરે આવ્યાં હતાં. ત્યાં તેમનાં ફોઈ જ્યોત્સ્નાએ કહ્યું હતું કે તેમની તબિયત વધુ ખરાબ હોવાથી શતાબ્દી હૉસ્પિટલમાં ઇલાજ ચાલુ છે. જોકે આ સમાચાર સાંભળીને રીટાબહેનની પણ તબિયત લથડી ગઈ હતી. સાંજે છ વાગ્યે એકાએક પિતા રમેશભાઈની ડેડ-બૉડી અંતિમ સંસ્કાર માટે લઈ જતા હોવાનું જોઈને તેમને આઘાત લાગ્યો હતો એટલે તેમણે બૉડી ૧૦ મિનિટ માટે રાખવા કહ્યું હતું. ત્યારે બારીકાઈથી જોતાં તેમના માથા નજીક માર લાગ્યો હોવાનું દેખાયું હતું. એ પછી મૃત્યુ અંગેની શંકા જતાં એ સમયે તેમણે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં અપ્રોચ કર્યો હતો. જોકે ત્યાં તેમને કોઈ પ્રકારની મદદ ન મળતા અંતે તેમણે બોરીવલી કોર્ટમાં પિતાનું મૃત્યુ શંકાજનક હોવાની ફરિયાદ નોંધાવી હતી. એના આધારે કોર્ટે તમામ નિરીક્ષણ કર્યા બાદ કાંદિવલી પોલીસને કલમ ૩૦૬ એટલે કે આત્મહત્યા માટે જવાબદાર ગણવાની ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. કાંદિવલી પોલીસે ફરિયાદીના ભાઈ જિતેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
રીટા વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાના દિવસે મારા પિતાની તબિયત ખરાબ હોવાની માહિતી પહેલાં મને આપવામાં આવી હતી. જ્યારે પિતાની ડેડ-બૉડી સામે આવી ત્યારે મને કહેવામાં આવ્યું કે તેમણે આત્મહત્યા કરી છે. મારા પિતા બહુ જ સ્ટ્રૉન્ગ હતા. તેઓ આવું કરે જ નહીં. એ પછી હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગઈ હતી, પણ એ સમયે મને પોલીસે કોઈ મદદ કરી નહોતી. અંતે મેં પિતાએ આત્મહત્યા નથી કરી એ સાબિત કરવા માટે અનેક પુરાવા ભેગા કર્યા હતા અને બોરીવલી કોર્ટમાં અપીલ કરી હતી, જેના આધારે કાંદિવલી પોલીસને ફરિયાદ નોંધવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. થોડા દિવસમાં આ કેસમાં તમામ સત્ય બહાર આવશે અને ગુનેગારોને સજા મળશે.’
કાંદિવલી પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર દીપશિખા વેરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટ પાસેથી મળેલી અરજીના આધારે અમે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતીના આધારે આ કેસ ફૅમિલી ડિસ્પ્યુટનો હોવાનું જણાય છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે.’